મુખ્ય સમાચાર
News of Tuesday, 30th June 2020

દેશની આઈટી કંપનીઓ ચીનમાં બિઝનેસને ઘટાડે તેવી સંભાવના

આઈટી કંપનીઓને મોટો ફટકો પડશે : ટીસીએસ, વિપ્રો અને ઇન્ફોસિસ જેવી આઈટી કંપનીઓ ચીનના બિઝનેસની પ્રાથમિકતામાં ફેરફાર કરે તેવી વકી

મુંબઈ, તા. ૩૦ : ટીસીએસ, વિપ્રો અને ઇન્ફોસિસ જેવી અગ્રણી આઈટી કંપનીઓ ચીનના બિઝનેસની પ્રાથમિકતામાં ફેરફાર કરે તેવી શક્યતા છે. આર્થિક દબાણ અને સરહદ પર ઘર્ષણને કારણે રાજકીય અનિશ્ચિતતાથી આ કંપનીઓના મુશ્કેલીમાં ફસાયેલા બિઝનેસ એકમો વિસ્તરણ કરવામાં નિષ્ફળ રહ્યા છે. એનાલિસ્ટ્સના જણાવ્યા અનુસાર ભારતની આઈટી કંપનીઓ માટે ચીનમાં વૃદ્ધિ પડકારજનક રહી છે. કારણ કે તેમણે મુખ્યત્વે પશ્ચિમના દેશો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ચીનની કંપનીઓ ચીન સિવાયના ટેકનોલોજી સર્વિસ પ્રોવાઇડર્સને બિઝનેસ આપવામાં ખચકાતી હોવાથી ભારતની આઈટી કંપનીઓને ચીનમાંથી મળતો બિઝનેસ નહીંવત્ છે. એચએફએસ રિસર્ચના સ્થાપક ફિલ ફર્શ્ટે જણાવ્યું હતું કે, મોટા ભાગની ચીનની કંપનીઓ ઈન-હાઉસ કામ વધારે કરે છે અને અન્ય જરૂરિયાતો માટે ચીનની આઈટી કંપનીઓને જ બિઝનેસ આપે છે.

            તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મારા અંદાજ પ્રમાણે ભારતની આઈટી કંપનીઓ મંદ આર્થિક વૃદ્ધિને કારણે ચીનમાંથી આંશિક બિઝનેસ સમેટવાનું વિચારી શકે. જોકે, નવેમ્બરમાં અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી પછી આ નિર્ણયમાં ફેરફાર કરવો પડી શકે. કારણ કે એ સમયે નિશ્ચિતતા વધી હશે અને રાજકીય તણાવમાં ઘટાડો થયો હશે. નાણાકીય વર્ષ ૨૦૨૦માં ભારતની સૌથી મોટી આઈટી સર્વિસિસ પ્રોવાઇડર ટીસીએસને ચીનમાં ૭૭૨ કરોડની આવક પર ૩ કરોડની ખોટ થઈ હતી. ઇન્ફોસિસને પણ કુલ ૧,૧૮૩ કરોડની આવકમાંથી ચીનમાં ૧૧૪ કરોડની ખોટ થઈ હતી. જ્યારે વિપ્રોએ ચીનમાં ૨૮૪ કરોડની આવક પર ?૫૯.૩ કરોડનો નફો કર્યો હતો. ટીસીએસ અને ઇન્ફોસિસે જણાવ્યું હતું કે, ત્રિમાસિક પરિણામ પહેલાં તે 'સાઇલેન્ટ પિરિયડ'માં છે.

            વિપ્રોએ આ બાબતે પુછાયેલા પ્રશ્નોનો જવાબ આપ્યો ન હતો. ઉલ્લેખનીય છે કે, વિશ્વની ટોચની કંપનીઓ સાથે બિઝનેસ કરતી ભારતની આઈટી કંપનીઓને ચીનમાં બિઝનેસ હાંસલ કરવામાં મુશ્કેલી નડી રહી છે. ભારતે નવેમ્બર ૨૦૧૯માં ચીનનું પીઠબળ ધરાવતી રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ (RCEP)માંથી ખસી જવા માટે ચીનની ટેકનોલોજી સર્વિસિસ કંપનીઓ દ્વારા ભારતીય કંપનીઓને માર્કેટ એક્સેસ આપવામાં નહીં આવતું હોવાનું કારણ જણાવ્યું હતું. આઉટર્સોસિંગ એડ્વાઇઝરી ફર્મ એવરેસ્ટ ગ્રૂપના સીઈઓ પીટર બેન્ડર સેમ્યુલે જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ સંબંધી આર્થિક અનિશ્ચિતતાને કારણે પણ ચીનમાં ટૂંકા ગાળામાં વૃદ્ધિનો માહોલ જટિલ બન્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં અમેરિકા અને યુરોપના દેશો દ્વારા ચીનમાંથી બિઝનેસ ખસેડવાની શક્યતાને જોતાં ભારતની કંપનીઓ ચીન ખાતેનું રોકાણ ઘટાડે તેવી શક્યતા છે. કેટલીક કંપનીઓ બિઝનેસ સમેટી લે તેવું પણ બને તો અમુક કંપનીઓ ભવિષ્યને ધ્યાનમાં રાખીને હાજરી જાળવી શકે. એનાલિસ્ટ્સના જણાવ્યા અનુસાર નવેમ્બરમાં અમેરિકાની ચૂંટણી પછી ચિત્ર વધુ સ્પષ્ટ થશે.

(7:41 pm IST)