પશ્ચિમબંગાળ સરકાર બનાવશે મધ અને તુલસીના અર્કમાંથી ઇમ્યુનિટી બૂસ્ટર આરોગ્ય સંદેશ મીઠાઈ
બંગાળી મીઠાઈના શોખીનો માટે એક આનંદના સમાચાર છે. પશ્ચિમ બંગાળની સરકાર મધ અને તુલસીના રસમાંથી તૈયાર કરાયેલી રોગપ્રતિકારક શકિત વધારતી મીઠાઈ આરોગ્ય સંદેશ બજારમાં લાવવાની તૈયારી કરી રહી છે. આ મીઠાઈ માટે સુંદરવનના મધનો ઉપયોગ કરવામાં આવશે.
પશુપાલન વિકાસ વિભાગના અધિકારીનું કહેવું છે કે ગાયના દૂધમાંથી બનેલા પનીરમાં સુંદરવનનું મધ ભેળવીને આરોગ્ય સંદેશ તૈયાર કરવામાં આવશે. કલકત્તા અને નજીકના જિલ્લામાં પશુપાલન વિકાસ વિભાગનાં કેન્દ્રોમાં વેચવામાં આવનારા આરોગ્ય સંદેશમાં કોઈ પણ પ્રકારનો કૃત્રિમ સ્વાદ ઉમેરવામાં આવશે નહીં. જોકે રોગપ્રતિકારક શકિત વધારનારા આરોગ્ય સંદેશ માટે કોવિડ-૧૯નો ઇલાજ કરવાનો દાવો નથી કરાયો. આગામી બે મહિનામાં આરોગ્ય સંદેશ બજારમાં મૂકવામાં આવશે અને એની કિંમત સામાન્ય લોકોની પહોંચમાં હશે.