મુખ્ય સમાચાર
News of Tuesday, 30th June 2020

કાલથી બેન્કમાંથી એક કરોડથી વધુ કેશ ઉપાડાશે તો બે ટકા TDS લાગશે

ત્રણ વર્ષના રિટર્ન નહીં ભર્યા હોય તેવા ખાતેદારોની લિમિટ ૨૦ લાખ નક્કી કરાઈઃ પાનકાર્ડ ન ધરાવનાર ખાતેદારના ઉપાડ પર પણ ૨૦ ટકા TDS કાપી લેવાની જોગવાઈ

નવી દિલ્હી, તા.૩૦: પહેલી જુલાઈથી બેંક, કોઓપરેટીવ બેંક, પોસ્ટ ઓફિસમાંથી વર્ષ દરમિયાન જો રૂપિયા એક કરોડથી વધુનો કેશ ઉપાડ કરશો તો બે ટકા લેખે TDS કપાશે. આ ઉપરાંત પણ દ્યણી જોગવાઈઓ કરવામાં આવી છે, જેથી લોકો રિટર્ન ભરતાં થઈ જશે.

બેંક અથવા પોસ્ટઓફિસમાંથી રૂ. એક કરોડના ઉપાડ પર બે ટકા TDS સહિતની જોગવાઈઓ અંગે માહિતી આપતા ટેકસ એડવાઈઝર પ્રમોદ પોપટે જણાવ્યું હતું કે રોકડામાં થતા કાળા નાણાંના વ્યવહાર અટકાવવા માટે આ વર્ષે રજૂ કરાયેલ બજેટમાં TDS અંગેની નવી કલમ ઉમેરાઇ છે. આ કલમ અનુસાર જે લોકો કોઈપણ શિડ્યૂલ્ડ બેંક, કોઓપરેટિવ બેંક, પોસ્ટઓફિસમાંથી સમગ્ર વર્ષ દરમિયાન ટુકડે-ટુકડે પણ જો રૂપિયા એક કરોડથી વધુનો ઉપાડ કરશે તો ઉપાડમાંથી બે ટકા લેખે વ્ઝ્રલ્ કાપી લેવામાં આવશે અને બાકીની રકમની ચુકવણી કરાશે. એટલું જ નહીં, આ એક કરોડની ગણતરી કરતી વખતે ૧લી એપ્રિલ, ૨૦૨૦ના અત્યાર સુધી કરેલા ઉપાડને પણ ગણતરીમાં લેવામાં આવશે.

જો કોઈ વ્યકિતએ આવકવેરાના છેલ્લા ત્રણ વર્ષમાં રિટર્ન ભરેલા નહીં હોય તો તેવી વ્યકિતના ઉપાડવા માટે આ લિમિટ ફકત ૨૦ લાખની રહેશે. એટલે કે આવી વ્યકિત જો વર્ષ દરમિયાન કુલ ૨૦ લાખ કે તેથી વધુનો ઉપાડ કરશે તો તેના ઉપાડમાથી બેંકે બે ટકા TDS કાપી લેવો પડશે. આવા કેસમાં બેંકોને કરદાતાએ ઇન્કમટેકસ રિટર્ન ભરેલા છે કે નહીં તેની ખબર ન હોય તો બેંકો ૨૦ લાખના ઉપાડ વખતે TDS કાપી લેશે. માટે દરેક કરદાતાએ પોતાનો રોકડ ઉપાડ જયારે ૨૦ લાખ થાય ત્યારે પોતાના ત્રણ વર્ષના આઇટી રિટર્નની કોપી રજૂ કરવી પડશે નહીં તો બેંક બે ટકા લેખે TDS કાપી લેશે. આમ લોકો આવકવેરાના રિટર્ન આપોઆપ ભરતા થઈ જાય તે પણ એની પાછળનો આશય છે.

તદુપરાંત, જો કોઈ રિટર્ન ન ભરનાર વ્યકિત એક કરોડ ઉપરની રોકડનો ઉપાડ કરશે તો તેને TDSનો દર પાંચ ટકા ભરવાનો રહેશે. જો કોઈ વ્યકિત પાનકાર્ડ પણ નથી ધરાવતી અને બેંકમાંથી ૨૦ લાખ રૂપિયાની રોકડ ઉપાડશે તો તેવા લોકોને ૨૦ ટકા TDS કરવાની સખત જોગવાઈ કરવામાં આવેલ છે.

(11:49 am IST)