ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ બંગલો ખાલી કર્યો
કોઈ અધિકારી ચાવી લેવા નહીં આવતા સ્પીડ પોસ્ટથી મોકલી દીધી
લખનઉઃ બસપા અધ્યક્ષ માયાવતીએ બંગલો ખાલી કરી દીધો છે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરતા માયાવતીએ લખનઉમાં લાલબહાદુર શાસ્ત્રી માર્ગ સ્થિત બંગલા નંબર-6 ખાલી કરી દીધો છે. તેમના ખાનગી સચિવે મીડિયાને આ જાણકારી આપી હતી
સુપ્રીમના આદેશ પર રાજ્ય સંપત્તિ વિભાગે પૂર્વ મુખ્યપ્રધાનોને 15 દિવસની અંદર બંગલો ખાલી કરવાની નોટિસ જારી કરી હતી, ત્યારબાદ માયાવતીએ બંગલો ખાલી કરી દીધો છે.
આ પહેલા રાજ્ય સંપત્તિ વિભાગે 13 મોલ એવેન્યૂને ખાલી કરવાની નોટિસ આપી હતી, કારણ કે આ બંગલો માયાવતીના નામે ફાળવાયેલો હતો. બીજીતરફ માયાવતીએ 2011નો એક શાસનાદેશ દેખાડતા દાવો કર્યો કે, 13 મોલ એવેન્યૂ ભૂલથી પોતાના સરકારી બંગલા તરીકે લખવામાં આવ્યો, જ્યારે આ બંગલો કાશીરામ સ્મારકના નામથી ફાળવવામાં આવ્યો છે.
માયાવતીએ 6 લાલ બહાદુર શાસ્ત્રી માર્ગને ખાલી કરી દીધો છે, પરંતુ જ્યારે રાજ્ય સંપત્તિ વિભાગમાંથી કોઈ અધિકારી તેની ચાવી લેવા ન આવ્યો તો તેને સ્પીડ પોસ્ટથી મોકલવામાં આવી. માયાવતી તરફથી જારી નિવેદનમાં આ વાતની જાણકારી આપવામાં આવી છે.