મુંબઈમાં ત્રણ દિવસ વેક્સિનેશન કેન્દ્રો બંધ
મહાસંકટમાં વેક્સિન આડેનું વધુ એક કંટક
નવી દિલ્હી : કોરોનાના મહાસંકટનો સામનો કરી રહેલી માયાનગરી મુંબઈ હાલ વેક્સિનના શોર્ટેજ સામે ઝઝુમી રહી છે. આ કારણે મુંબઈમાં આગામી ૩ દિવસ સુધી વેક્સિનેશન સેન્ટર્સ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રે પહેલેથી જ ૧ મેથી ૧૮ વાળાઓને વેક્સિન આપવાની ના પાડી દીધેલી છે.
મુંબઈમાં પાછલા કેટલાક દિવસોથી વેક્સિનની શોર્ટેજ છે. આ કારણે દરરોજ કોઈને કોઈ સેન્ટર બંધ રહે છે. ગઈકાલે પણ મુંબઈમાં વેક્સિનેશન સેન્ટર્સ પર લોકોની ભારે ભીડ હતી પરંતુ વેક્સિન બહુ ઓછી હતી. બીએમસીના કહેવા પ્રમાણે હાલ તેમના પાસે વેક્સિન નથી. જ્યારે વેક્સિન ઉપલબ્ધ થશે ત્યારે લોકોને ફોન, મેસેજ કરી દેવામાં આવશે. બીએમસીએ ટ્વીટ કરીને લોકો પાસેથી સહયોગની માંગણી કરી હતી.
રાજ્ય સરકારે પહેલેથી જ જાહેર કર્યું છે કે, તેમને કેન્દ્ર તરફથી વેક્સિન નથી મળી રહી. સાથે જ સીરમને જે ઓર્ડર આપવામાં આવ્યો છે તે ૧ મે સુધી નહીં પહોંચી શકે. આ સંજોગોમાં ૧૮ વાળા લોકોને ૧૫ મે આસપાસ જ વેક્સિન મળી શકશે. મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોનાના પ્રકોપ વચ્ચે મિની લોકડાઉનને પણ ૧૫ મે સુધી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.