મુખ્ય સમાચાર
News of Friday, 30th April 2021

વેક્સિન સર્ટિફિકેટ પર મોદીનો ફોટો હોય તો મારે નથી લેવી રસી:પૂર્વ પ્રોફેસરે કર્યો ઈનકાર

સીએમને પત્ર લખીને કહ્યું -સર્ટિફિકેટ પર કોઈ ડોકટરોની સહી હોવી જોઈએ: મને વેક્સીન લગાવવાની જરુર છે પણ પીએમ મોદીની તસવીર સર્ટિફિકેટ પર હોવા સામે વાંધો

નવી દિલ્હી : દેશમાં કોરોનાના કહેર વચ્ચે ચાલી રહેલા કોરોનાના વેક્સીનેશન વચ્ચે પંજાબમાં એક સિનિયર સિટિઝને કોરોના વેક્સીન લગાવવાનો ઈનકાર કરી દીધો છે. આની પાછળ તેમણે આપેલું કારણ પણ જાણવા જેવુ છે. તેમનું કહેવું છે કે, વેક્સીનેશન માટેના સર્ટિફિકેટ પર પીએમ મોદીનો ફોટો હોવાથી હું વેક્સીન લઈ રહ્યો નથી.

મીડિયા રિપોર્ટ પ્રમાણે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર ચમનલાલે આ અંગે પંજાબના સીએમ કેપ્ટન અમરિન્દર સિંઘને એક પત્ર પણ લખ્યો છે.

તેમનું કહેવું છે કે, સર્ટિફિકેટ પર કોઈ ડોકટરોની સહી હોવી જોઈએ. મને વેક્સીન લગાવવાની જરુર છે પણ મને પીએમ મોદીની તસવીર સર્ટિફિકેટ પર હોવા સામે વાંધો છે.

 

તેમનું કહેવું છે કે, અન્ય કોઈ પણ દેશમાં વેક્સીન લીધા પછી જે સર્ટિફિકેટ અપાય છે તેના પર રાજકીય નેતાની તસવીર હોતી નથી. ભારતમાં જ સત્તા પર બેસેલા નેતાની તસવીર સાથેનુ સર્ટિફિકેટ અપાઈ રહ્યું છે. તેમણે પંજાબ સરકારને તસવીર પરથી સર્ટિફિકેટ હટાવવા માટે પણ અનુરોધ કર્યો છે.

સર્ટિફિકેટ પર પીએમ મોદીના ફોટા સામે અગાઉ પણ વિરોધ થઈ ચુકયો છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે તો તાજેતરમાં એમ પણ કહ્યું હતું કે, જો સર્ટિફિકેટ પર પીએમ મોદીની તસવીર હોય તો કોરોનાના કારણે મોતને ભેટનાર લોકોની તસવીરો પણ તેના પર લગાવવી જોઈએ. આ પહેલા મમતા બેનરજીએ પણ સર્ટિફિકેટ પર પીએમ મોદીની તસવીર સામે વાંધો ઉઠાવ્યો હતો.

(7:06 pm IST)