પ્રથમ ડોઝ પછી કોરોના થાય તો સંપૂર્ણ રીકવર થયા પછી જ બીજો ડોઝ લેવો...બીજો ડોઝ છોડી ન દેવો, લેવો જરૂરી છે
કોરોનાથી રીકવર થનારમાં ભલે અમુક એન્ટીબોડી બની ગઇ હોય, પણ માત્ર વેકસીનની મદદથી જ શરીર સંપૂર્ણ એન્ટીબોડી મેળવી શકે છે. જે લાંબા સમય સુધી વાયરસની લપેટમાં આવતા બચાવી લ્યે છે : વેકસીનનો પ્રથમ ડોઝ જે કંપનીનો લ્યો તે જ કંપનીનો જ બીજો ડોઝ લેવો : જોકે કોરોનાની રસી અને દવા માટે તમામ નિર્ણયો ડોકટરની સલાહ મુજબ જ લેવા
નવી દિલ્હી, તા.૨૯ : કોરોનાને કારણે દેશ અત્યારે કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે. રસીકરણની પ્રક્રિયા આ કોહરામને અટકાવે તેવી એક આશા છે. ઘણાં લોકો એવા છે જે અત્યાર સુધી કોરોનાની રસીનો પહેલો ડોઝ લઈ ચૂક્યા છે અને પહેલો ડોઝ લીધા પછી સંક્રમિત થયા છે. આ પરિસ્થિતિમાં ઘણાં લોકોમાં એવી ગેરસમજ ઉભી થાય છે કે, રસી લીધા પછી કોરોના પોઝિટિવ થાય તો બીજો ડોઝ છોડી દેવો જોઈએ.
આ બાબતે નિષ્ણાતોના અભિપ્રાય જાણવા જેવા છે. એસજીપીજીઆઈના માઈક્રોબાયોલોજી વિભાગના પ્રમુખ પ્રોફેસર ઉજ્જવલા ઘોષાલનું કહેવું છે કે જો તમે અથવા તમારા સ્વજનોમાંથી કોઈ એવી વ્યક્તિ છે જેને કોરોનાની રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હોય અને પછી તરત તે કોરોનાથી સંક્રમિત થયું હોય તો પણ જેણે બીજો ડોઝ ચોક્કસપણે લેવો જોઈએ.
જો કે કોરોના સંક્રમિત વ્યક્તિને બીજો ડોઝ ત્યાં સુધી આપવામાં નથી આવતો જ્યાં સુધી તે સંપૂર્ણપણે સ્વસ્થ ના થઈ જાય. આ પરિસ્થિતિમાં દર્દીએ પહેલા સંપૂર્ણપણે સાજા થઈ જવું જોઈએ પછી કોરોનાની રસીનો બીજો ડોઝ લેવો જોઈએ.
નિષ્ણાંતોનું કહેવું છે કે ભલે કોરોનાથી રિકવર થનાર વ્યક્તિમાં અમુક એન્ટીબૉડી બની ગઈ હોય. પરંતુ તેણે વેક્સિનનો બીજોડોઝ લેવો જોઈએ. માત્ર રસીની મદદથી જ શરીર સંપૂર્ણપણે એન્ટીબૉડી પ્રાપ્ત કરી શકે છે. જે લાંબા સમય સુધી તમને ફરી વાઈરસની ચપેટમાં આવવાથી બચાવી શકે છે.
આ સિવાય નિષ્ણાંતોની સલાહ છે કે જે રસીનો પહેલો ડોઝ લીધો હોય, તે જ કંપનીની રસીનો બીજો ડોઝ પણ લેવામાં આવે. ઉલ્લેખનીય છે કે ભારતમાં બે પ્રકારની રસી આપવામાં આવી રહી છે. એક છે ભારત બાયોટેકની કો-વેક્સીન અને બીજી છે કોવી શીલ્ડ, જે સીરમ ઈન્સ્ટિટ્યુટ દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે.
નિષ્ણાંતોનું કહેવું છે કે તમે બન્ને ડોઝ કોવિશીલ્ડના લો અથવા બન્ને ડોઝ કો- વેક્સિનના લો. રસીકરણના બન્ને ડોઝવચ્ચે અમુક અઠવાડિયાઓનું અંતર રાખવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન જો તમને કોરોના થઈ જાય તો ડરવાની જરૂર નથી. રિકવર થયા પછી તમે બીજો ડોઝ લઈ જ શકો છો. આમ છતાં કોરોનાની રસી અને દવાઓને લગતા તમામ નિર્ણયો ડોક્ટરની સલાહ અનુસાર લેવા જોઈએ.