દુઃખદ... દેશના પૂર્વ અર્ટોની જનરલ સોલી સોરાબજીનું કોરોનાથી નિધન
૯૧ વર્ષના હતાં: સાત દાયકા સુધી લીગલ પ્રોફેશનમાં હતા
નવી દિલ્હી, તા.૩૦: દેશના જાણીતા ન્યાયવિદ અને પૂર્વ એર્ટોની જનરલ સોલી સોરાબજીનું આજે નિધન થયુ છે. તેઓ ૯૧ વર્ષના હતા. તેઓને કોરોના થઇ ગયો હતો.
આજે વ્હેલી સવારે દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
સોરાબજી પહેલા ૧૯૮૯ થી ૧૯૯૦ સુધી અર્ટોની જનરલ હતાં તે પછી તેમણે ૧૯૯૮ થી ૨૦૦૪ સુધી આ જવાબદારી નિભાવી હતી. તેમનું પુરૂ નામ સોલી જહાંગીર સોરાબજી હતું.
તેઓ ૭ દાયકા સુધી લીગલ પ્રોફેશન સાથે જોડાયેલા રહયા હતાં. તેમને પદમ વિભુષણનો એવોર્ડ પણ પ્રાપ્ત હતો. તેમનો જન્મ ૧૯૩૦માં મુંબઇમાં થયો હતો. ૧૯૫૩ થી બોમ્બે હાઇકોર્ટમાં પ્રેકટીશ કરતા હતાં.
સોલી સોરાબજીની ઓળખ દેશના મોટા માનવાધીકાર વકીલ તરીકેની હતી.
સોલી સોરાબજી અભિવ્યકિતની સ્વતંત્રતાના પક્ષમાં હતાં. તેઓએ સુપ્રિમ કોર્ટમાં અનેક ઐતિહાસિક કેસોમાં પ્રેસની સ્વતંત્રતાનો બચાવ પણ કર્યો હતો. તથા પ્રકાશનો પર સેન્સરશીપના આદેશો અને પ્રતિબંધોને રદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.