મુખ્ય સમાચાર
News of Friday, 30th April 2021

અમદાવાદ સહિત દેશના મોટા શહેરોમાં મૃત્યુઆંક ડરામણો

દેશમાં કોરોનાની બીજી લહેરથી લોકો ત્રાહિમામ : ગુજરાતના કુલ ૬૬૫૬ મોતમાંથી ૪૦%થી વધુ ૨૮૬૬ મોત અમદાવાદમાં, અમદાવાદમાં પ્રમાણ ૨.૪%એ પહોંચ્યું

નવી દિલ્હી, તા. ૨૯ : ઘાતક બની ચૂકેલી કોરોના સંક્રમણની બીજી લહેરથી ભારત ત્રાહિમામ પોકારી રહ્યું છે. આવા ગંભીર સમયમાં દેશની મેડિકલ સુવિધા પણ બેઅસર સાબિત થઇ રહી છે. જ્યાં ઓક્સિજિનની અછત અને રેમડેસિવિયર ઇન્જેક્શનથી માંડીને હોસ્પિટલ્સમાં બેડ નથી મળી રહ્યા. આવા ગંભીર પડકારોને લીધે દેશમાં કોરોના સંક્રમણને લીધે મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે. હાલની પરિસ્થિતિ એવી છે કે, દેશમાં દરેક ૧૦૦ દર્દીએ એકની મોત થઇ રહ્યું છે. મોતનો કુલ આંકડો ૧.૩ ટકા સુધી પહોંચ્યો છે.

એવામાં દેશના અમદાવાદ સહિત અનેક મોટા શહેરોમાં સંક્રમણથી મૃત્યુનું પ્રમાણ ૨.૫ સુધી જોવા મળી રહ્યું છે. ગુજરાત, પંજાબ અને પશ્ચિમ બંગાળમાં કોરોનાના દરેક ૧૦૦ દર્દીએ બેના મોત થઇ રહ્યા છે. આ પ્રકારના ગંભીર રીતે પ્રભાવિત રાજ્યોમાં દિલ્હી, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ જેવા અનેક રાજ્યો સામેલ છે જ્યાં મૃત્યુઆંક ૧ટકાથી વધારે છે.

અમદાવાદમાં કોરોના સક્રમણથી થતી મોતનો આંકડો હવે ડરાવી રહ્યો છે. ૨૫૦૦થી વધુ મોતના આંકડા સાથે અમદાવાદમાં કોરોનાથી થતી મોતનું પ્રમાણ ૨.૪ ટકાએ પહોંચી ગયું છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ ગુજરાતના કુલ ૬૬૫૬ મોતમાંથી ૪૦ ટકાથી વધુ ૨૮૬૬ મોત અમદાવાદમાં જ થયા છે.

આ સિવાય પંજાબના લુધિયાણામાં પણ સ્થિતિ ચિંતાજનક છે. અહીં કુલ ૫૧ હજારથી વધુ લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે જેમાંથી ૧૩૨૨ લોકોના મોત થયા છે. લુધિયાણામાં મોતનું પ્રમાણ ૨.૫ ટકા સુધી પહોંચી ગયું છે.

મહારાષ્ટ્ર પણ કોરોના સંક્રમણની બીજી લહેરથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. રાજ્યના મુંબઇ શહેરમાં સંક્રમણથી મોતનું પ્રમાણ દરેક ૧૦૦ દર્દીએ બેનું છે. શહેરમાં અત્યાર સુધી ૬.૩૫ લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે જેમાંથી ૧૨,૯૨૦ લોકો દમ તોડી ચૂક્યા છે. જે શહેરોમાંસંક્રમણથી મોતનું પ્રમાણ સૌથી વધુ છે એમાં દિલ્હી બાદ મુંબઇ શહેર છે.

મધ્ય પ્રદેશમાં પણ ભોપાલ, ઇન્દોર, ઉજ્જૈન, જબલપુર, સાગર અને બુરહાનપુરમાં કોરોના સંક્રમણથી થતી મોતનું પ્રમાણ ૧ ટકા સુધી પહોંચી ગયું છે.

(12:00 am IST)