મુખ્ય સમાચાર
News of Monday, 30th January 2023

પેશાવરની મસ્જિદમાં બોમ્બ બ્લાસ્ટ: 29 લોકોના મોત: 90થી વધુ ઘાયલ

ઘણા લોકો કાટમાળ નીચે દબાયેલા હોવાની આશંકા : આત્મઘાતી હુમલાવરે નમાજ દરમિયાન પોતાને ઉડાવી દીધો: બ્લાસ્ટથી ભારે નુકસાન

પેશાવર: પાકિસ્તાનની એક મસ્જિદમાં જોરદાર બોમ્બ બ્લાસ્ટ થયો છે. પેશાવરના પોલીસ લાયન્સ વિસ્તારમાં સોમવારે બપોરે એક મસ્જિદમાં વિસ્ફોટની સૂચના મળી હતી. આ વિસ્તારમાં બોમ્બ બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો. જાણકારી અનુસાર આ બ્લાસ્ટથી ભારે નુકસાનના સમાચાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બ્લાસ્ટમાં 29 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકોને ઇજા પહોંચી છે. મૃતકોની સંખ્યા ઝડપથી વધી રહી છે.
રિપોર્ટ અનુસાર બોમ્બ બ્લાસ્ટથી મસ્જિદની છત પડી ગઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે હુમલાવરો નમાજ દરમિયાન પોતાને ઉડાવી દીધો હતો.
મસ્જિદમાં બોમ્બ બ્લાસ્ટ
જિયો ન્યૂઝના રિપોર્ટ અનુસાર આ વિસ્ફોટમાં 29 લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમાં 2 પોલીસકર્મીના મોત થયા છે. 90થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘણા લોકોની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે. ઘણા લોકો કાટમાળ નીચે દબાયેલા હોવાની આશંકા છે. બ્લાસ્ટ બાદ સમગ્ર વિસ્તારમાં ઇમરજન્સી લાગૂ કરી દેવામાં આવી છે. હાલ પાકિસ્તાન આર્મીએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે બ્લાસ્ટ થયો છે, તેની પાસે આર્મી યૂનિટની ઓફિસ પણ છે.
આત્મઘાતી હુમલાવરે કર્યો બ્લાસ્ટ
મીડિયા રિપોર્ટ અનુસાર પેશાવરમાં મસ્જિદમાં બ્લાસ્ટનો અવાજ 2 કિમી દૂર સુધી સંભળાયો હતો. પેશાવર પોલીસ લાઇન્સમાં હાજર લોકોને જણાવ્યું કે વિસ્ફોટ બાદ આકાશમાં ધૂળની ડમરીઓ છવાઇ ગઇ હતી. સુરક્ષા અધિકારીઓના અનુસાર આત્મઘાતી હુમલાવર મસ્જિદમાં નમાજ વખતે સૌથી આગળની લાઇનમાં હાજર હતા અને પછી પોતાને ઉડાવી દીધો.
તમને જણાવી દઇએ કે કે ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં પાકિસ્તાનમાં મોટો હુમલો થયો હતો. દેશની રાજધાની ઇસ્લામાબાદમાં ફિદાયીન હુમલામાં પોલીસકર્મીના મોત થયા હતા. આ ઉપરાંત ઘણા લોકો ઘાયલ થયા હતા.
 

(6:56 pm IST)