દિલ્હીમાં આપ નેતા સંદીપ ભારદ્વાજની આત્મહત્યાને ભાજપે હત્યા ગણાવી : ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી
નેતાઓના ભ્રષ્ટાચારથી કંટાળીને આપઘાત કરી લીધો હોવાનો ભાજપનો દાવો
નવી દિલ્હી : દિલ્લીમાં આમ આદમી પાર્ટીના નેતા સંદીપ ભારદ્વાજની આત્મહત્યાના મુદ્દાને ભાજપે ચગાવ્યો છે. ભારદ્વાજે આપના નેતાઓના ભ્રષ્ટાચારથી કંટાળીને આપઘાત કરી લીધો હોવાનો ભાજપનો દાવો છે. રાજૌરી ગાર્ડન વિસ્તારમાં 55 વર્ષીય સંદીપ ભારદ્વાજ આમ આદમી પાર્ટીના લેબર સેલના સેક્રેટરી હતા. માર્બલના વેપારી ભારદ્વાજ છૂટાછેડા પછી બે પુત્રી અને એક પુત્ર સાથે રહેતા હતા.
સંદીપ ભારદ્વાજની મૃત્યુને હત્યા ગણાવી મનોજ તિવારીએ ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે અને અરવિંદ કેજરીવાલને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે, ભારદ્વાજને ટિકિટ આપવાના બદલે એક ધનિક નેતાને ટિકિટ આપી દેવાતાં હતાશ ભારદ્વાજે આત્મહત્યા કરી છે. ભાજપનો દાવો છે કે, જૂનમાં 62 વર્ષીય અજયપાલ સિંહ ગિલે પણ આ જ કારણે આપઘાત કર્યો હતો.
ભાજપનો આક્ષેપ છે કે 2016ના જુલાઇ મહિનામાં આપ કાર્યકર સોની મિશ્રાની આત્મહત્યાથી આ સિલસિલો ચાલે છે. સોની મિશ્રાએ નરેલામાં ઘરે ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી. આ કેસમાં પોલીસે આપના ધારાસભ્ય શરદ ચૌહાણ સહિત સાત લોકોની ધરપકડ કરી હતી.