મુખ્ય સમાચાર
News of Sunday, 29th November 2020

નાઇઝિરિયામાં ૪૩ મંજુરોને બંધક બનાવીને ગળા કાપ્યા

નાઇજીરીયામાં બોકો હરામની ક્રૂરતા : નાઇઝિરીયા ખાતે બોકો હરામે ખેત મજૂરોની હત્યા કરી

અબુજા, તા. ૨૯ : નાઇજીરીયામાં બોકો હરામ લડવૈયાઓએ ખેતરોમાં કામ કરતા ૪૩ કામદારોની નિર્મમ હત્યા કરી છે. તેમજ ૬ મજૂરોને ઈજા પહોંચાડી છે. શનિવારે નાઇજીરીયાના મેદુગુરીમાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. જેહાદી વિરોધી સૂત્રોએ આ વિશે માહિતી આપી છે. તેઓએ જણાવ્યું છે કે ખૂબ જ ઘાતકી હુમલોમાં આ મજૂરોને પહેલા બાંધવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમના ગળા કાપી નાખવામાં આવ્યા હતા.

સુત્રોના જણાવ્યા અનુસાર આ ઘટના કોશોબેની છે. નાઇજીરીયાના રાષ્ટ્રપતિ મોહમ્મદ બુહારીએ આ હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું છે કે, આ હત્યાઓથી આખો દેશ ઘાયલ થયો છે. આ ભયાનક હુમલાથી બચી ગયેલા લોકોને મદદ કરનાર મિલિશિયાના લીડર બાબાકુરા કોલોએ કહ્યું કે, અમને ૪૩ લાશ મળી આવી છે, બધાને કાપી નાખવામાં આવ્યા છે અને ૬ લોકો ઘાયલ છે. તેમના મતે, આ કાર્ય બોકો હરામનું છે જે આ ક્ષેત્રમાં સક્રિય છે અને અનેક વખત હુમલો કરી ચૂક્યો છે. આ પીડિતો સોકોટો રાજ્યના મજૂર હતા. તેઓ કામની શોધમાં ઇશાન તરફ ગયા હતા.

         અન્ય એક મિલિશિયા ઇબ્રાહિમ લિમનના જણાવ્યા અનુસાર ૬૦ ખેડુતોને ચોખાના ખેતરમાં કામ કરવા માટે કરાર કરવામાં આવ્યો હતો. તેમાંથી ૪૩ કાપવામાં આવ્યા હતા અને ૬ ઘાયલ થયા હતા. એ પણ જાણવા મળ્યું છે કે, ૮ હજી ગુમ છે અને તેઓને જેહાદીઓ દ્વારા અપહરણ કરાયા હોવાની શંકા છે. તમામ લાશને જબરમરી ગામે લઈ જવામાં આવી છે જ્યાં તેઓને રવિવારે દફન કરતા પહેલા રાખવામાં આવશે. વર્ષ ૨૦૦૯ બાદથી લગભગ ૩૬ હજાર લોકો જેહાદી વિવાદમાં મૃત્યુ પામ્યા છે અને ૨૦ લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે.

(7:27 pm IST)