મુખ્ય સમાચાર
News of Sunday, 29th November 2020

ઓવૈસીના ગઢમાં ગાબડુ પાડશે :હૈદરાબાદમાં ભાગ્યલક્ષ્મી મંદિરમાં પૂજા બાદ અમિતભાઈ શાહનો રોડ શો : ભારે ભીડ

ભાજપ આ સ્થળને હિન્દુ ઉદ્દગમ સ્થળ વિશે વાત કરવા ઈચ્છે છે

હૈદરાબાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે રવિવારે હૈદરાબાદ પહોંચીને ગ્રેટર હૈદરાબાદ મ્યુન્સિપલ કોર્પોરેશનની ચૂંટણીના પ્રચારમાં ભાગ લીધો છે.અમિતભાઇ શાહે હૈદરાબાદમાં આવેલા ભાગ્યલક્ષ્મી મંદિરના દર્શન કરીને રોડ-શો છે. ચારમિનાર સમીપ આવેલ આ મંદિર નાનુ જ છે, પરંતુ ચૂંટણીની તૈયારીઓ કરી રહેલી ભાજપે હાલ તેને કેન્દ્ર બનાવી લીધુ છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના ચૂંટણી પંચે તેલંગાણા સરકારને આદેશ આપ્યા હતા કે, તેઓ પુર પ્રભાવિત લોકોને રાહત આપવાનું બંધ કરે. આ દરમિયાન એવા સમાચારો સામે આવ્યા હતા કે, ભાજપ  નેતાઓના કહેવા પર જ ચૂંટણી પંચે રાહત પર રોક લગાવી હતી. જો કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ બંદી સંજય કુમારે તમામ આરોપોને ફગાવતા કહ્યું કે, તેઓ હૈદરાબાદ ઓલ્ડ સિટીમાં આવેલ ભાગ્યલક્ષ્મી મંદિરમાં જઈને સચ્ચાઈના શપથ લેશે અને ભાજપ પર લાગેલા તમામ આરોપોને ખોટા સાબિત કરશે. જે બાદ ગત શુક્રવારે બંદી સંજય કુમાર પોતાના સેંકડો સમર્થકો સાથે ચારમિનાર નજીક આવેલા આ મંદિરમાં પહોંચ્યા હતા

ઉલ્લેખનીય છે કે, ઓલ્ડ સિટીમાં આવેલ આ વિસ્તાર ઓવૈસીનો ગઢ માનવામાં આવે છે. આ સાથે જ અહીં મોટી સંખ્યામાં મુસ્લિમોની વસ્તી છે. ભાજપના સમર્થકોના ચાર મિનાર પાસે પસાર થયા બાદ વિસ્તારમાં થોડો તનાવ પણ થયો હતો.

 બે દિવસ પહેલા વડાપ્રધાન મોદીના ભાઈ પ્રહલાદ મોદી પણ ભાગ્યલક્ષ્મી મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતા. એક વર્ષ પહેલા સંઘ પ્રમુખ મોહન ભાગવત પણ હૈદરાબાદ પ્રવાસ દરમિયા સૌ પ્રથમ આજ મંદિરની મુલાકાતે ગયા હતા. જે બાદ તેમણે અહીં સભાને પણ સંબોધિત કરી હતી.
રાજકીય નિષ્ણાંતોનું માનવું છે કે, ભાજપનું અચાનક ભાગ્યલક્ષ્મી મંદિરને કેન્દ્ર બનાવવું એક રાજનીતિક ચાલ છે. જેનું એક કારણ આ મંદિર ચાર મિનાર સાથે જોડાયેલું છે. આમ પણ સાબિત થઈ ચૂક્યું છે કે, મંદિર અનેક વર્ષો બાદ આવ્યું છે, પરંતુ ભાજપ આ સ્થળને હિન્દુ ઉદ્દગમ સ્થળ વિશે વાત કરવા ઈચ્છે છે. જો ભાજપ સારું  પ્રદર્શન કરશે, તો આ સ્થળને ચોક્કસ તીર્થ સ્થળની જેમ બનાવી દેશે.

હૈદરાબાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે પોતાના અનેક દિગ્ગજ નેતાઓને મેદાનમાં પ્રચાર માટે ઉતાર્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત પાર્ટીના અનેક નેતાઓ હૈદરાબાદમાં પ્રચાર કરી ચૂક્યાં છે. હવે આજે અમિતભાઈ  શાહ હૈદરાબાદ  પહોંચ્યા છે. સિકંદરાબાદમાં રોડ-શૉ પહેલા અમિતભાઈ  શાહે અહીંના ભાગ્યલક્ષ્મી મંદિરમાં પૂજા કરી હતી. અમિત શાહના રોડ-શૉમાં ભારે ભીડ જોવા મળી રહી છે.

GHMCની 150 બેઠકો પર થનારી ચૂંટણી માટે 1 ડિસેમ્બરે મતદાન થવાનું છે. જ્યારે મતગણતરી 4 ડિસેમ્બરે થશે. આજે રોડ શો બાદ અમિત શાહ હૈદરાબાદમાં મીડિયાને સંબોધિત કરશે. હૈદરાબાદના નામપલ્લી સ્થિત ભાજપ કાર્યાલયમાં અમિત શાહ પ્રેસ કોન્ફરન્સ કરશે.

(5:04 pm IST)