નડ્ડાની નવી ટીમમાં રાજેશ અગ્રવાલની ખજાનચી તરીકે નિમણુંક થતા યોગી આદિત્યનાથ ધૂંધવાયા
અગ્રવાલ યોગી સરકારમાં નાણાં મંત્રી હતા :મતભેદોના કારણે ગયા વરસે યોગીએ રવાના કરી દીધા
નવી દિલ્હી : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાની નવી ટીમમાં રાજેશ અગ્રવાલના ખજાનચી તરીકે સમાવેશથી યોગી આદિત્યનાથ નારાજ હોવાના સમાચાર છે. અગ્રવાલ યોગી સરકારમાં નાણાં મંત્રી હતા પણ મતભેદોના કારણે ગયા વરસે યોગીએ તેમને રવાના કરી દીધા હતા.
અગ્રવાલ યુપીમાં ભાજપના સૌથી વરિષ્ઠ સભ્યોમાં એક છે. ૧૯૯૩થી બરેલી બેઠક પરથી સળંગ વિધાનસભામાં ચૂંટાતા અગ્રવાલને યોગીએ મંત્રીમંડળમાંથી જ બહાર કરી દીધા હતા. યોગીએ અગ્રવાલને યુપી ભાજપની કારોબારીમાંથી પણ દૂર કરીને રીતસર અપમાનિત કર્યા હતા.
હવે મોદીની સૂચનાથી અગ્રવાલને રાષ્ટ્રીય સ્તરે મહત્વનો હોદ્દો મળતાં યોગી ધૂંધવાયા છે પણ મોદી સામે કશું બોલી શકાય તેમ નથી. અગ્રવાલ ઉત્તર પ્રદેશના વેપારીઓ પર જોરદાર પકડ ધરાવે છે. વૈશ્ય સમાજમાંથી આવતા અગ્રવાલ ૧૯૯૦ના દાયકાથી ભાજપના સૌથી મોટા ફંડ રેઈઝ મનાય છે. મોદી તેમની આ શક્તિનો ઉપયોગ રાષ્ટ્રીય સ્તરે કરશે. ભાજપનાં સૂત્રોના મતે, અગ્રવાલની પસંદગી કરીને મોદીએ યોગીને કદ પ્રમાણે વેતરી નાંખ્યા છે અને ભાજપમાં તેમનું સ્થાન શું છે તેનો અહેસાસ કરાવી દીધો છે.