મુખ્ય સમાચાર
News of Tuesday, 29th September 2020

અમિતાભ બચ્‍ચને સુશાંતના નિધનને દર્દનાક ગણાવ્‍યુઃ કોન બનેગા કરોડપતિના એપિસોડમાં સુશાંતની છેલ્લી ફિલ્‍મ દિલ બેચારા સંબંધિત સવાલ વખતે કર્યો યાદ

મુંબઈ: સોમવારે અમિતાભ બચ્ચનનો પોપ્યુલર ક્વિઝ શો કોન બનેગા કરોડપતિની નવી સીઝનની શરૂઆત થઈ. કોરોના વાયરસ મહામારીના કારણે આ શોને લાંબા ગેપ બાદ ઓનએર કરાયો. 'કોન બનેગા કરોડપતિ 12'નો પહેલો એપિસોડ ઓનએર થતા જ ફેન્સે ધમાકેદાર અંદાઝમાં બિગ બીનું સ્વાગત કર્યુ છે. આ શોના પહેલા એપિસોડ સંબંધિત અનેક આઈકોનિક મૂવમેન્ટ્સ પણ ફેન્સે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. 'કોન બનેગા કરોડપતિ'ના પહેલા એપિસોડમાં જે રીતે અમિતાભ બચ્ચને સુશાંત સિંહ રાજપૂતને યાદ  કર્યો તેને જોઈને ફરીથી એકવાર લોકોની આંખો ભીની થઈ ગઈ.

વાત જાણે એમ છે કે અમિતાભ બચ્ચને શોના પહેલા સ્પર્ધક આરતી જગતાપને સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા' સંબંધિત એક સવાલ પૂછ્યો હતો. સવાલ હતો કે આ ફિલ્મથી કઈ અભિનેત્રીએ પોતાનું ડેબ્યુ કર્યું? ત્યારબાદ બિગ બીએ સુશાંતને યાદ કરતા લાંબા શ્વાસ લીધા અને તેના નિધનને 'દર્દનાક' ગણાવ્યું. અમિતાભે સુશાંતને જે રીતે યાદ કર્યો તે જોઈને હવે સોશિયલ મીડિયા પર લોકો તેમનો આભાર વ્યક્ત કરી રહ્યા છે અને એમ પણ કહી રહ્યા છે કે કાશ બિગ બીએ સુશાંતને લઈને પહેલા કઈ કહ્યું હોત.

એક યૂઝરે લખ્યું કે  કેબીસી 12માં આજે 'દિલ બેચારા'ની વાત કરતા જ્યારે અમિતાભ સરે સુશાંતના નામ આગળ સ્વર્ગીય લગાવ્યું તો મનમાં ખુબ દુ:ખ થયું.

બિગ બી થયા હતા ટ્રોલ

અત્રે જણાવવાનું કે સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ બોલિવુડની રહસ્યમય ચૂપ્પીને લઈને અનેક પ્રકારના સવાલ ઉઠ્યા હતાં. ભારતની જનતાના ગુસ્સાનો ભોગ બિગ બી પણ બન્યા હતા. લોકોનું માનવું હતું કે જો અમિતાભ બચ્ચને આ ઘટના પર કઈ કહ્યું હોત તો તેનો પ્રભાવ વધુ પડત.

(5:05 pm IST)