લ્યો બોલો :છેલ્લા પાંચ વર્ષમાં હાથથી સફાઈ એક પણ મોત થયું નથી : રાજ્યસભામાં સરકારના જવાબ પર ઉઠ્યા પ્રશ્ન
ઓક્સિજન પછી હવે હાથથી ગંદકી ઉપાડવા અંગે ઉપરોક્ત જવાબ સરકારે આપ્યો : મેન્યુઅલ સ્કેવેંગિંગમાં સામેલ લોકોની માહિતી 2013થી પહેલાની છે.
નવી દિલ્હી : ભારતમાં પાછલા પાંચ વર્ષમાં હાથથી સફાઈ કરવાથી એક પણ મોત થયું નથી.”ઓક્સિજન પછી હવે હાથથી ગંદકી ઉપાડવા અંગે ઉપરોક્ત જવાબ સરકારે આપ્યો છે. રાજ્યસભામાં સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન રામદાસ આઠવલેએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે ભારતમાં છેલ્લા પાંચ વર્ષમાં હાથથી ગંદકી સાફ કરવાથી કોઈ મોત રિપોર્ટ થયો નથી.
બાર એન્ડ બેન્ચ અનુસાર, રાજ્યસભામાં કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ આને લઈને સરકારને પ્રશ્ન પૂછ્યો હતો. ખડગે દ્વારા પૂછવામાં આવ્યું હતુ કે સરકાર બતાવે કે, વર્તમાન સમયમાં કેટલા લોકો હાથથી ગંદકી સાફ કરવાના કામમાં લાગેલા છે. પાછલા પાંચ વર્ષમાં આના કારણ કેટલા લોકોના મોત થયા છે.
ગંદકી ઉપાડનારા કેટલા લોકોનું સરકાર દ્વારા પુનર્વસન થયું? તેમના પુનર્વસન માટે કેટલું ભંડોળ ફાળવવામાં આવ્યું છે અને તેનો કેટલો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમના પુનર્વસનની ખાતરી કરવા માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યા છે?
આ પ્રશ્નના જવાબમાં રાજ્યસભામાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી રામદાસ અઠાવલેએ કહ્યું કે, કાયદા હેઠળ, 6 ડિસેમ્બર 2013થી મેન્યુઅલ સ્કેવેંગિંગ પર પ્રતિબંધ છે. મેન્યુઅલ સ્કેવેંગિંગમાં સામેલ લોકોની માહિતી 2013થી પહેલાની છે.અઠાવલેએ જવાબમાં આગળ જણાવ્યું કે, ગંદકી ઉપાડવાથી કોઈ મોત રિપોર્ટ થઈ નથી.