૨૦૦ કરોડની બેંક લોન કૌંભાડનો આરોપી : એમ્બીયન્સ મોલના માલિકની ધરપકડ
નવી દિલ્હીઃ ગુડગાંવના વિખ્યાત એમ્બીયન્સ મોલના માલિક રાજસીંઘ ગેહલોતની ઇડીએ બેંક ફ્રોડના આરોપ હેઠળ આજે ધરપકડ કરી છે.
ગેહલોતની ૨૦૦ કરોડ રૂપિયાની બેંક લોનના ફ્રોડના આરોપ હેઠળ ધરપકડ કરાઇ છે. ઇડીના એક અધિકારીએ કહયું કે ગેહલોતની ગુડગાંવમાંથી ધરપકડ કરાઇ છે અને તેને આજે દિલ્હીમાં કોર્ટ સમક્ષ રજૂ કરાશે.
ઇડી ફ્રોડ કેસમાં તેની પૂછપરછ માટે તેની કસ્ટડી માંગી રહી છે. ગેહલોત પર સીબીઆઇની તપાસ પણ ચાલી રહી છે. એવું કહેવાઇ રહયુ છે કે ગેહલોતે રાજકીય વગ ધરાવતા લોકો અને સરકારી અધિકારીઓની મદદથી આ ફ્રોડ કર્યો છે.
પંજાબ અને હરિયાણા કોર્ટે ગુડગાંવમાં ૧૮.૯૮ એકરમાં બનાવાયેલ આ મોલમાં થયેલ નિયમભંગની તપાસના આદેશ આપેલા છે. એવો પણ આક્ષેપ છે કે રહેણાંક વિસ્તારની જમીન પર મોલ ઉભો કરી દેવાયો છે.