મુખ્ય સમાચાર
News of Friday, 29th June 2018

તિબેટમાં ચીનની સેના દ્વારા સૈન્ય અભ્યાસ કરાયું : ભારતની નજર

ડોકલામ વિવાદ બાદ પ્રથમ વખત સૈન્ય અભ્યાસ હાથ ધરાયું : તમામ પ્રકારના હથિયારો અને અન્ય સાધનોની કરાયેલી ચકાસણી : મજબૂત સેનાના નિર્માણ કરવાની દિશામાં ચીનની હિલચાલ : ગુપ્તરીતે તીવ્ર તૈયારીઓ

નવીદિલ્હી,તા. ૨૯ : ડોકલામ વિવાદ બાદ ફરી એકવાર ચીની સેનાએ તિબેટના લશ્કરી કવાયત હાથ ધરી છે. આને લઇને ભારતની ચાંપતી નજર રહી છે. તિબેટમાં ફરજ બજાવતા ચીની સૈનિકોએ હિમાલિયન ક્ષેત્રમાં પોતાના હથિયારો અને અન્ય સાધનો સાથે લશ્કરી કવાયત હાથ ધરી હતી. હથિયારોની ક્ષમતા અને તેમની કુશળતા આ ગાળા દરમિયાન ચકાસવામાં આવી હતી. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, પીપલ્સ લિબ્રેશન આર્મના જવાનોએ મંગળવારના દિવસે કવાયત હાથ ધરી હતી જે ડોકલામ ગતિરોધ બાદ તિબેટમાં આ પ્રકારની પ્રથમ વખત લશ્કરી કવાયત હાથ ધરવામાં આવી છે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સમાં પ્રકાશિત અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, પીપલ્સ લિબ્રેશન આર્મીએ ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં ૩૬૦૦ મીટરની ઉંચાઈ ઉપર ૧૩ કલાક સુધી કવાયત હાથ ધરી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, નિષ્ણાતોએ મંગળવારના દિવસે હાથ ધરવામાં આવેલી આ લશ્કરી કવાયત દરમિયાન ખુબ શાનદાર કામગીરી હાથ ધરાઈ છે. આ લશ્કરી કવાયત સફળ રહી હતી. આની પ્રશંસા કરતા ચીની સેનાના અધિકારીઓે કહ્યું છે કે, આને સેના અને બિનસેના એકીકરણની દિશામાં મહત્વપૂર્ણ ઘટના છે. નવા યુગમાં મજબૂત સેનાના નિર્માણ કરવાના દેશના લક્ષ્યને હાસલ કરવાની દિશામાં પહેલ કરવામાં આવી રહી છે. આ અભ્યાસની કામગીરી સ્થાનિક કંપનીઓ અને સરકારના સહકાર સાથે હાથ ધરવામાં આવી હતી. અભ્યાસની મુખ્ય બાબતો લશ્કરી અને બિનલશ્કરી એકીકરણની રણનીતિ છે જે તિબેટમાં ખુબ મહત્વપૂર્ણ છે જ્યાં દલાઈ લામાની વિરાસત હજુ પણ અકબંધ રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તિબેટમાં ચોક્કસ વિસ્તારમાં પ્રતિકુળ હવામાન રહે છે. ભૌગોલિક સ્થિતિ પણ જટિલ હોય છે. લાંબા સમયથી ત્યાં સૈનિકોને હથિયારો અને અન્ય ચીજવસ્તુઓ પહોંચાડવાની કામગીરી મુશ્કેલરુપ રહી છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ખુબ ઉંચાઈ પર રહેલા સ્થળો ઉપર યુદ્ધમાં સૌથી મોટો પડકાર હથિયારો પહોંચાડવા માટેનો હોય છે. વર્ષ ૧૯૬૨માં ચીન-ભારત સરહદી સંઘર્ષમાં ચીન પુરતા હથિયારો પહોંચાડવામાં નિષ્ફળ રહેવાના કારણે આ જીતનો લાભ લેવામાં નિષ્ફળ રહ્યું હતું. આ યુદ્ધ અભ્યાસની પ્રક્રિયા ઉપર ભારતની ચાંપતી નજર રહી હતી. છેલ્લા ઘણા સમયથી ચીનની ગતિવિધિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. ડોકલામમાં લાંબા સમય સુધી ભારત અને ચીનના જવાનો આમને સામને રહ્યા હતા. જો કે, આખરે વિખવાદનો શાંતિપૂર્ણરીતે અંત આવ્યો હતો.

(9:03 pm IST)