આધાર પર સરકારનો યુ ટર્ન :સરકારે ખોટા અર્થઘટનની શકયતા દર્શાવી ‘આધાર એડવાઇઝરી’ પરત ખેંચી લીધી
''આધાર કાર્ડનો ફોટો કોઈની સાથે શેર કરશો નહીં જેના કારણે તમારા આધાર કાર્ડનો દુરુપયોગ થવાની સંભાવના' આ નિવેદન પાછું ખેંચ્યું
નવી દિલ્હી "આધાર કાર્ડને લઈને સરકારે એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે તમે તમારા આધાર કાર્ડનો ફોટો કોઈની સાથે શેર કરશો નહીં જેના કારણે તમારા આધાર કાર્ડનો દુરુપયોગ થવાની સંભાવના છે. હાલમાં સરકારે પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું છે.
સરકારે એક નવી અખબારી યાદી જારી કરીને આ અંગેની માહિતી આપી છે. સરકારે નિવેદન પાછું ખેંચવા પાછળ ‘ખોટા અર્થઘટન’ની શક્યતા દર્શાવી છે. ફરીથી જારી કરાયેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે રિલીઝના ખોટા અર્થઘટનની સંભાવનાને ધ્યાનમાં રાખીને, તેને તાત્કાલિક અસરથી પાછી ખેંચી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સાથે, સરકારે સામાન્ય લોકોને ફરીથી ખાતરી આપી કે આધાર સાથે ઓળખની ઇકોસિસ્ટમ સુરક્ષિત છે. કાર્ડ ધારકની ઓળખ અને ગોપનીયતાને સુરક્ષિત રાખવા માટે પૂરતી સુરક્ષા સુવિધાઓ આપવામાં આવી છે.