કોરોનાની રસી બનાવવાની દોડમાં પતંજલિ સામેલ
પતંજલીની ત્રણ અત્યાધુનિક લેબોરેટરી માત્ર કોરોનાના ઉપર જ કામ કરે છે
વિશ્વની મોટી મોટી કંપનીઓ કોરોના વાયરસના સંક્રમણના ઇલાજ બાબતે ચિંતિત છે, તો ભારતમાં પણ આ મહામારી ચિંતાનો મોટો વિષય બની ગઇ છે. દેશની મોટી મોટી કંપનીઓ આ વાયરસની રસી શોધવામાં લાગી ગઇ છે. ત્યારે બાબા રામદેવ કેમ પાછળ રહે? વડાપ્રધાનના નારા 'લોકલ સે વોકલ'માં બાબા રામદેવ પણ પોતાનો સૂર પુરવા તૈયાર છે. જણાવી દઇએ કે પતંજલિએ કોરોનાના કલીનીકલ ટ્રાયલની દિશામાં પગલા લીધા છે અને સાથે એ પણ કહ્યું છે કે અમારૂ ધ્યાન પ્રતિકારક શકિત વધારવા પર જ નહીં, ઇલાજ પર પણ છે.
પતંજલિના મેનેજીંગ ડાયરેકટર આચાર્ય બાલકૃષ્ણએ કહ્યું કે, માર્ચ મહિનામાં અમે ઘણાનો ઇલાજ કર્યો પણ તે કલીનીકલ ટ્રાયલ નહોતી એટલે હવે અમે અમારી શોધને રજીસ્ટર કરાવવા માટે કલીનીકલ ટ્રાયલ તરફ આગળ વધી રહ્યા છીએ. અમારૃં ધ્યાન ફકત રોગ પ્રતિકારક શકિત વધારવા પર જ નથી, પણ સારવાર પર પણ છે. પતંજલિમાં લગભગ ૫૦ હજાર લોકો કામ કરે છે. તેની પાસે ત્રણ અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ લેબોરેટરીઓ પણ છે, જે ફકત કોરોના વાયરસ ઉપર જ કામ કરી રહી છે. લગભગ ૫૦૦ રિસર્ચરો સાથે રસીની શોધમાં લાગેલ પતંજલિ આવનાર દિવસોમાં કેવો ચમત્કાર દેખાડશે તેના માટે આપણે રાહ જોવી પડશે.