મુખ્ય સમાચાર
News of Friday, 29th May 2020

મોદી સરકાર ૨.૦: અમિતભાઈ સૌથી મોટા નાયક રૂપે ઉભરી આવ્યા

ભાજપ સરકારના બીજા કાર્યકાળના એક જ વર્ષમાં ગૃહમંત્રી તરીકે શાહે બંધારણની કલમ ૩૭૦ અને નાગરીકતા કાયદા જેવા અનેક અઘરા મામલાઓ સરળતાથી દેશહિતમાં સંસદમાં પસાર કરાવ્યા

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ અને નરેન્દ્રભાઈની સરકારના બીજા કાર્યકાળના એક વર્ષમાં સૌથી મોટા નાયકના રૂપે રહ્યા છે. મોદી સરકારના બીજા કાર્યકાળને એક વર્ષ પુરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે અમિતભાઈએ આર્ટીકલ ૩૭૦ હોય કે પછી સીએએ, દરેક મોરચે સરકારનો પક્ષ રાખવામાં અમિતભાઈ આગળ રહ્યા છે.

કેન્દ્રની મોદી સરકારે ગત વર્ષે આવા સમયે લોકસભામાં તોતીંગ જીત મેળવી બીજી ઈનીંગની શરૂઆત કરેલ. પહેલા અને બીજા કાર્યકાળમાં ફરક એટલો છે કે આ વખતે તત્કાલીન રાષ્ટ્રીય પક્ષ પ્રમુખ અમિતભાઈ લોકસભા ગાંધીનગરથી લડયા હતા અને મંત્રીમંડળમાં ગૃહમંત્રીની જવાબદારી સોંપવામાં આવેલ.

બીજા કાર્યકાળની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં અમિતભાઈનો દબદબો સરકારમાં જોવા મળ્યો છે. જમ્મુ- કાશ્મીરમાં કલમ ૩૭૦ હટાવવા જેવો અઘરો નિર્ણય હોય કે પછી નાગરિકતા સંશોધન કાયદો રજુ કરવાનો હોય, સંસદમાં વિપક્ષને સહન કરવાના હોય કે પછી ચૂંટણી મેદાનમાં ફ્રન્ટફુટ ઉપર બેટીંગ કરવાની હોય. અમિત શાહ બીજા કાર્યકાળમાં દરેક મોરચે અડગ રહી અને નરેન્દ્રરભાઈના સૌથી મોટા સેનાપતિ તરીકે ઉભરીને આવ્યા છે.

પહેલા કાર્યકાળમાં જયારે નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા તો દરેકની નજર એ વાત ઉપર હતી સરકારમાં નંબર બે કોણ હશે. અરૂણ જેટલી કે પછી રાજનાથસિંહ પણ જયારે અમિતભાઈનો મંત્રીમંડળમાં સમાવેશ કરાયો ત્યારે ચોખ્ખુ થઈ ગયેલ કે નંબર બે કોણ હશે. અમિતભાઈની ચૂંટણી રણનીતીએ ૨૦૧૪ બાદ તેમને ભારતીય રાજકારણમાં અલગ ઓળખાણ અપાવી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને અમિતભાઈની જોડીની ચર્ચા દરેક જગ્યાએ થવા લાગી. દરમિયાન અમિતભાઈએ સૌ પ્રથમ રાજયસભા અને ત્યારબાદ લોકસભા દ્વારા સંસદમાં પ્રવેશ કર્યો. બીજા કાર્યકાળમાં અમિતભાઈએ ભાજપના પાયાના પથ્થર અડવાણીજીની ગાંધીનગર બેઠકથી લોકસભા લડેલ.

મોદી સરકારના બીજા કાર્યકાળને હજી બે મહિના જ થયા ત્યાં અમરનાથ યાત્રા અચાનક રોકી દેવામાં આવી. ત્યારબાદ ભાજપે પોતાના તમામ સાંસદો માટે લોકસભા- રાજયસભામાં હાજર રહેવા વ્હીપ જાહેર કર્યુ. ૫ ઓગસ્ટ ૨૦૧૯માં અમિતભાઈએ રાજયસભામાં જમ્મુ- કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાની જાહેરાત કરી. તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંકલ્પનું સંસદમાં પઠન કર્યુ અને તેની સાથે તુરંત ચર્ચા માટે એલાન કર્યુ. આ એલાનની સાથે સંસદમાં શોરબકોર વચ્ચે બધા હેરાન રહી ગયા કે શું થયુ. કેમ કે લગભગ ૧૭ વર્ષથી અનુચ્છેદ ૩૭૦ હટાવવાની ચર્ચાઓ થઈ રહી હતી અને ભાજપ સતત લાંબા સમયથી હટાવવા માંગ કરી રહ્યું હતું.

અમિતભાઈ શાહે જમ્મુ- કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવા સીવાય રાજયના પુનર્ગઠનનો પ્રસ્તાવ રાખ્યો હતો, જે હેઠળ જમ્મુ- કાશ્મીર કેન્દ્ર શાસીત પ્રદેશ બની ગયેલ અને લડાખ એક અલગ કેન્દ્ર શાસીત પ્રદેશ બની ગયેલ.

આ અંગે સદનમાં ચર્ચા દરમિયાન અમિતભાઈએ કોંગ્રેસના અધીર રંજન ચૌધરી ઉપર ભડકી ઉઠયા હતા અને કહેલ કે, જમ્મુ- કાશ્મીર ભારતનું અભીન્ન અંગ છે. જયારે પણ હું જમ્મુ- કાશ્મીર કહું છુ ત્યારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) અને અકસાઈ ચીન પણ તેની અંદર આવી જાય છે. શું કોંગ્રેસ પીઓકે ને ભારતનો ભાગ નથી માનતી. અમે તેના માટે જીવ પણ આપી દઈશું.

(12:58 pm IST)