માઉન્ટ એવરેસ્ટમાં આ સીઝનમાં 4 ભારતીય મોતને ભેટયાઃ મૃતકોની કુલ સંખ્યા 11 ઉપર પહોંચી
કાઠમંડુઃ દુનિયાના સર્વોચ્ચ શિખર એવરેસ્ટ પર વિજય મેળવવાના ક્રમમાં અમેરિકન પર્વતરોહીના મૃત્યુ પછી આ સીઝનમાં મોતને ભેટનારા લોકોની સંખ્યા વધીને 11 થઈ ગઈ છે. જેમાં 4 ભારતીયોનો પણ સમાવેશ થાય છે. એવરેસ્ટ પર વિજય મેળવ્યા બાદ સોમવારે અંતિમ શ્વાસ લેનારા અમેરિકન પર્વતરોહી ક્રિસ્ટોફર જોન કુલિશ(61) સાંજે સુરક્ષિત રીતે નીચે આવી ગયા હતા, પરંતુ અચાનક હૃદયરોગનો હુમલો આવતાં તેમનું નિધન થયું હતું.
નેપાળના પ્રવાસન વિભાગના વરિષ્ઠ અધિકારી મીરા આચર્યએ આ અંગે માહિતી આપી હતી. આંતરરાષ્ટ્રીય મીડિયામાં આ સીઝનમાં માર્યા ગયેલા પર્વતારોહીઓની સંખ્યા ભલે 11 જણાવાઈ રહી હોય, પરંતુ નેપાળ પ્રવાસન વિભાગ તેને માત્ર 8 જ ગણાવી રહ્યું છે. પર્વત પર ચઢાઈની સિઝન 14મેના રોજ શરૂ થઈ હતી અને આ શુક્રવારે તે સમાપ્ત પણ થઈ જશે.
એવરેસ્ટ પર ચઢવા અને ઉતરવા દરમિયાન ચાર ભારતીયોનાં મોત થયા છે. આ ઉપરાંત કંચનજંઘા પર્વતના શીખર પર ચઢનારા બે અને મકાલુ પર્વત પર ચઢનારા બે પર્વતારોહીના મત સાથે ભારતના મૃતક પર્વતારોહીનો આંકડો 8 થઈ ગયો છે.
આ સિઝનમાં પર્વત પર ચઢવા માટે આવેલી અરજીઓમાં સૌથી વધુ 78 અરજી ભારતીયોની જ મંજૂર કરવામાં આવી હતી.