રાજધર્મ મામલે રાજકારણ ગરમાયુ : કપિલ સિમ્બલનું ટ્વીટ :વાજપેયીની સલાહ ના માની તો અમારી ક્યાંથી સાંભળશો.
સાંભળવું, શીખવું અને રાજધર્મનું પાલન કરવું તમારા મજબૂત પાસાંઓમાંથી એક નથી.
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હિંસા પર કોંગ્રેસે કેન્દ્ર સરકારને રાજધર્મનું પાલન કરવાની અપીલ કરી હતી. રાજધર્મ પર એકવાર ફરી રાજકીય ગરમાવો આવ્યો છે અને રાજકીય નિવેદનબાજી શરૂ થઈ છે.
કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી રાજધર્મના નામ પર લોકોને ભડકાવવાનું કામ ન કરે. કેન્દ્રીય પ્રધાનનું નિવેદન સામે આવ્યા બાદ હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા કપિલ સિબ્બલે પલટવાર કર્યો છે.
કપિલ સિબ્બલે શનિવારે એક ટ્વીટ કર્યું, 'કાયદા પ્રધાન કોંગ્રેસને કહે છે કે પ્લીઝ, અમને રાજધર્મ ન શીખવાડો. અમે તમને કેમ શીખવાડી શકીએ મંત્રી મહોદય. જ્યારે તમે ગુજરાતમાં વાજપેયીની ચેતવણી ન સાંભળી, તમે અમને ક્યાં સાંભળશો. સાંભળવું, શીખવું અને રાજધર્મનું પાલન કરવું તમારા મજબૂત પાસાંઓમાંથી એક નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓના એક દળે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરીને કેન્દ્ર સરકારને રાજધર્મનું પાલન કરવાની વાત કરી ત્યારે ભાજપ આક્રમક થઈ ગયું હતું. શુક્રવારે કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે પલટવાર કરતા કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી રાજધર્મના નામ પર લોકોને ભડકાવવાનું કામ ન કરે.