મુખ્ય સમાચાર
News of Saturday, 29th January 2022

વેકિસન લીધા પછી પણ કોરોના પોઝિટિવ થશો તો સુપર ઇમ્યુનિટી બનશે

જો તમે કોરોનાથી બચવા માટે રસી લીધા પછી પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છોઃ તો ગભરાવાની જરૃર નથી

ન્યુયોર્ક, તા.૨૯: યુએસની ઓરેગન હેલ્થ એન્ડ સાયન્સ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ રસીના બે ડોઝ મેળવનારા ૧૦૪ લોકોના લોહીના નમૂનાઓનો અભ્યાસ કર્યો હતો. સંશોધકોએ શોધી કાઢ્યું છે કે, જે લોકો અત્યાર સુધી કોરોના થી બચી ગયા છે તેની સરખામણીએ તેનાથી સંક્રમિત લોકોમાં એન્ટિબોડીઝનું સ્તર દસ ગણું વધારે જોવા મળ્યું છે. ઉપરાંત જે લોકો એન્ટી-કોરોના રસી મેળવતા પહેલા સંક્રમિત થયા હતા તેમના લોહીમાં એન્ટિબોડીઝનું સ્તર વધુ સારું હોવાનું પણ જાણવા મળ્યું હતું.
એ પણ નોંધનીય છે કે, આ સંશોધન ઓમિક્રોન વેરિઅન્ટના આગમન પહેલા કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં વૈજ્ઞાનિકોને આશા છે કે, સુપર ઇમ્યુનિટી ઓમિક્રોનને પણ હરાવી શકે છે.
સુપર ઇમ્યુનિટીના પરિણામ સુધી પહોંચવા માટે વૈજ્ઞાનિકોએ સંશોધનમાં સામેલ તમામ લોકોના બ્લડ સેમ્પલને કોરોનાના ત્રણ વેરિઅન્ટ આલ્ફા, બીટા, ગામા સામે સંપર્ક કરવામાં આવ્યો હતો. બધા લોકોએ ફાઈઝર રસીના બંને ડોઝ મેળવ્યા હતા. ટેસ્ટમાં સામેલ લોકોને અગાઉના ચેપના આધારે ત્રણ જૂથોમાં વહેંચવામાં આવ્યા હતા. તેમાંથી ૪૨ એવા લોકો હતા જેમને કયારેય ચેપ લાગ્યો ન હતો.
સંશોધક ડો. ફિકાડુ તફાસેના જણાવ્યા અનુસાર, તમને પહેલા ચેપ લાગ્યો છે, પછી રસી આપવામાં આવી છે અથવા પહેલા રસી આપવામાં આવી છે અને પછી ચેપ લાગ્યો છે તેનાથી કોઈ ફરક પડતો નથી. બંને કિસ્સાઓમાં, એન્ટિબોડીઝનું સ્તર ઊંચું હોવાનું જાણવા મળ્યું છે, જે વાયરસ સામે લડવા માટે સુપર ઇમ્યુનિટી તરીકે કામ કરશે.સંશોધનમાં સામેલ ચેપી રોગના નિષ્ણાત ડો. માર્સેલ કર્લિન કહે છે કે, જેમને હજુ સુધી રસી લીધી નથી તેમના માટે જોખમ વધારે છે. ચેપ પછી રોગપ્રતિકારક શકિતમાં સુધારો જોવા મળ્યો છે. ચેપ પછીના રસીકરણમાં રક્ષણાત્મક કવચ સમાન રીતે મજબૂત હોય છે. જો કે, સાવચેતી જરૃરી છે.


 

(1:46 pm IST)