શાબાશ.. રાજકોટમાં રિકવરી રેટ ૯૫ ટકા થયો
આજે ૩ મોતઃ નવા ૧૭ કેસ હાલ ૪૬૭ દર્દીઓ સારવાર હેઠળ
શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમા ૨૧૬૫ બેડ ખાલીઃ કુલ કેસનો આંક ૧૩,૪૨૦એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં કુલ ૧૨,૭૮૧ દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો
રાજકોટ, તા.૨૮: વૈશ્વિક મહામારી કોરોનાથી શહેર અને જીલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં આજે ૩ મોત થયા છે. જયારે શહેરમાં બપોર સુધીમાં આજે ૧૭ કેસ નોંધાયા હતા. શહેરમાં રિકવરી રેટ ૯૫.૩૫ ટકાએ પહોંચ્યો છે. હાલ ૪૬૭ દર્દીઓ સારવાર હેઠળ છે.
સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ રાજકોટ શહેર અને જીલ્લામાં ગઇકાલે કોરોનાથી ૨ પૈકી એક પણ મૃત્યુ જાહેર કર્યુ નથી.
આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર દરમિયાન ગઇકાલ તા.૨૭નાં સવારે ૮ વાગ્યાથી તા.૨૮ને આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લામાં ૩ દર્દીઓએ દમ તોડી દીધા હતો.
કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમા ૨૧૬૫ બેડ ખાલી છે.
શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે.
જીલ્લામાં આજે નવા ૬ સહિત કુલ ૧૦૪ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન કાર્યરત છે.
બપોર સુધીમાં ૧૭ કેસ
આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ શહેરમાં આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં કુલ ૧૭ નવા કેસ સાથે કુલ ૧૩,૪૨૦ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે અને તે પૈકી ૧૨,૭૮૧લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૯૫.૩૫ ટકા રિકવરી રેટ થયો
ગઇકાલે કુલ ૨૨૧૪ સેમ્પલ લેવાયા હતા. જેમાં ૬૧ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૨.૭૫ ટકા થયોઃ જયારે ૧૩૨ દર્દીઓને સાજા થયાઃ જયારે આજ દિન સુધીમાં ૫,૨૭,૨૨૭ લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૩,૪૨૦ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૫૪ ટકા થયો છે.