રિટાયરમેન્ટ સેવિંગ્સ માટે ખાસ જોગવાઇની માંગણી
સામાજિક સેક્ટર માટે ખાસ પહેલ થઇ શકે છે : વધુને વધુ લોકો રોકાણ કરવા માટે પ્રોત્સાહિત થાય તેવી જોગવાઇ કરવા માંગ : સામાન્ય બજેટ પર બધાની નજર
નવી દિલ્હી,તા. ૨૮ : રિટાયરમેન્ટ સેવિગ્સની ગતિ ખુબ ધીમી રહેલી છે. આશા છે કે સરકાર બજેટમાં રિટાયરમેન્ટ સેવિગ્સ માટે કેટલીક અલગ જોગવાઇ અને નવી પ્રોત્સાહન યોજના જાહેર કરી શકે છે. લોકો આશા રાખી રહ્યા છે કે નિવૃતિ બચત માટે અલગથી ટેક્સ લાભની જોગવાઇ નાણાં પ્રધાન અરૂણ જેટલી બજેટમાં કરશે. જેના પરિણામસ્વરૂપે વધુને વધુ લોકો આ ફંડમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત થાય તે જરૂરી છે. જેટલી બજેટને લઇને કવાયત શરૂ કર ચુક્યા છે. જેટલી તેમના પૂર્ણ બજેટને લઇને ભારે તૈયારીમાં લાગેલા છે. જેટલી જુદા જુદા વર્ગના પ્રતિનિધીઓ સાથે દરરોજ બેઠક કરી રહ્યા છે. આ સિલસિલો હજુ પણ જારી છે. ઉપરાંત નિષ્ણાંત લોકોના અભિપ્રાય પણ મેળવી રહ્યા છે. બજેટમાં જુદા જુદા સેક્ટરો માટે જોગવાઇ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. સામાજિક સેક્ટર માટે ખાસ જોગવાઇ કરવામાં આવે તેવી શક્યતા છે. સામાન્ય બજેટમાં લોકો માની રહ્યા છે કે કેટલીક ટેક્સમાં પણ રાહત આપવામાં આવનાર છે. બજેટમાં આવકવેરા મુક્તિ મર્યાદામાં વધારો કરવામાં આવી શકે છે. જાણકાર લોકો માની રહ્યા છે કે આવકવેરા મુક્તિ મર્યાદામાં ૫૦ હજાર સુધીનો વધારો કરવામાં આવી શકે છે. મહિલાઓ અને સિનિયર સિટીઝન માટે પણ કેટલીક રાહતો જાહેર કરવામાં આવી શકે છે. બજેટને લઇને લોકોમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે. હાલમાં કેટલાક નકારાત્મક પરિબળો પણ સરકારની સામે છે. નોટબંધી અને જીએસટી જેવા કઠોર પગલા સરકાર દ્વારા લેવામાં આવ્યા બાદ તેન અસરમાંથી બહાર કાઢવા માટે કેટલીક નવી પહેલ થઇ શકે છે.