ઉત્તર ભારત ઠંડુગાર, બે - ત્રણ દિ' શીતલહેર
પહાડી વિસ્તારોમાં ભારે બરફવર્ષા વચ્ચે ઉત્તર - મધ્ય ભારતમાં ઠંડીમાં વધારો : તામિલનાડુ - પોન્ડીચેરીમાં જનજીવન સામાન્ય બની રહ્યુ છે, નિચાણવાળા વિસ્તારોમાં હજુ પાણી ભરાયા
નવી દિલ્હી : દેશભરમાં હવામાનનો મિજાજ બદલાઈ રહ્યો છે. વાવાઝોડું 'નિવાર'ના કહેરના પગલે દેશના અનેક રાજયોમાં વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી બે - ત્રણ દિવસમાં ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું ફરી વળશે. પહાડો ઉપર ભારે બરફવર્ષાના પગલે મેદાની વિસ્તારોમાં જોરદાર ઠંડી પડશે.
દિલ્હી - એનસીઆરના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ વચ્ચે ઠંડી વધશે. હિમાચલ પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં બરફવર્ષાના પગલે જનજીવન ઉપર અસર પડી છે. લાહૌલ સ્પીતિના પ્રશાસન કેન્દ્ર દ્વારા કહેવાયુ છે કે કેલાંગમાં ઠંડીનો પારો શૂન્યથી ૨.૫ ડિગ્રી સેલ્સીયસ નોંધાયો છે.
તામિલનાડુ અને પોન્ડીચેરીમાં વાવાઝોડુ 'નિવાર' બાદ હવે જનજીવન સામાન્ય બની રહ્યુ છે. રાહત બચાવકાર્ય ચાલુ છે, નિચાણવિસ્તારોમાં ભરાયેલા પાણીને કાઢવાની કામગીરી ચાલુ છે.