કોરોના વાયરસનો ખાત્મોઃ હવે વેકસીનની જરૂર નથી
અમેરિકી કંપની ફાઈઝરના પૂર્વ વાઈસ પ્રેસિડેન્ટનું અજબગજબનું નિવેદનઃ જે વ્યકિત પર બિમારીનો ખતરો નથી તેમને શા માટે વેકસીન દેવી જોઈએ ? સ્વસ્થ લોકોને વેકસીન ન આપો
નવી દિલ્હી, તા. ૨૮ :. ઘાતક કોરોના વાયરસના બચાવ માટે જ્યાં દુનિયામાં આતુરતાથી વેકસીનની રાહ જોવાઈ રહી છે ત્યારે અમેરિકાની દિગ્ગજ ફાર્મા કંપની ફાઈઝરના પૂર્વ વાઈસ પ્રેસીડેન્ટ તથા મુખ્ય વૈજ્ઞાનિક ડો. માઈકલ યીડને એક અજબ ગજબનંુ નિવેદન આપ્યુ છે. તેમણે કોરોના વેકસીન અંગે વાત કરવાને મૂર્ખતા ગણાવી છે અને કહ્યુ છે કે તેની જરૂર જ નથી. જ્યારે ફાઈઝર કંપનીએ ખુદ કોરોના વેકસીન બનાવવા અને તે ઘણી અસરકારક હોવાનો દાવો કર્યો છે. હાલના દિવસોમાં ફાઈઝર પોતાની વેકસીનને લઈને ભારે ચર્ચામાં છે ત્યારે પૂર્વ વાઈસ પ્રેસીડેન્ટે નિવેદન કર્યુ છે કે કોરોના ખતમ થઈ ગયો છે અને હવે વેકસીનની જરૂર નથી.
એક અમેરિકી મેગેઝીનમાં છપાયેલા રીપોર્ટ અનુસાર ડો. માઈકલે કહ્યુ છે કે કોવિડ-૧૯ના ખાત્મા માટે કોઈ વેકસીનની જરૂર નથી. તેમના કહેવા મુજબ મહામારીને મૂળમાંથી મીટવવા માટે કોઈ વેકસીનની જરૂર નથી. મેં કદી પણ વેકસીનની મૂર્ખામીભરી વાતો નથી સાંભળી. જે લોકો પર બિમારીનો ખતરો નથી તેને તમારે વેકસીન આપવી ન જોઈએ. તમે એવુ પણ પ્લાનીંગ ન કરો કે લાખો સ્વસ્થ લોકોને વેકસીન આપવામાં આવે. અત્રે નોંધનીય છે કે ડો. માઈકલે ૩૦ વર્ષથી વધુ સમય સુધી એલર્જી અને શ્વાસ અંગેની બિમારી પર સંશોધન કર્યુ છે.
તેમણે દાવોે કર્યો છે કે મહામારી પ્રભાવી ઢંગથી સમાપ્ત થઈ ગઈ છે અને કોઈપણ પ્રકારના વેકસીનના ઉપયોગને તેમણે ફગાવી દીધેલ છે. તેમણે એક લેખમાં કહ્યુ છે કે મહામારીને મીટાવવા વેકસીનની જરૂર નથી.
ડો. માઈકલે કહ્યુ છે કે કોવિડ-૧૯ની ઓળખ માટે જે ટેસ્ટ આરટી-પીસીઆરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને જે પોઝીટીવ પરિણામ આપી રહ્યા છે તે ત્યારે જ એવા પોઝીટીવ પરિણામ આપશે જ્યારે કોઈ વ્યકિત સામાન્ય ઠંડીને કારણે કોરોના વાયરસથી સંક્રમિત હોય. તેથી પરિક્ષણ ઘણુ ઓછુ વિશ્વસનીય છે.
અંતમાં ડો. માઈકલે કહ્યુ છે કે અગાઉમાં થયેલી સામાન્ય શરદીને કારણે જનસંખ્યાનો એક મહત્વનો હિસ્સો (૩૦ ટકા) ૨૦૨૦ના મધ્ય સુધી ટી-સેલ્સ કોશિકાઓમાં હતો. આ ટી-સેલ્સ સાર્સ-કોવ-૨ વિરૂદ્ધ બચાવ કરવામાં સક્ષમ હતા. ભલે તેઓએ કદી આ વાયરસનો સામનો ન કર્યો હોય.