મિઝોરમમાં કોરોનાથી પ્રથમ મોત: આઈઝોલમાં 76 કેસ મળતા 3 નવેમ્બર સુધી લોકડાઉન લાગુ
છેલ્લા 24 કલાકમાં 27 સ્કૂલના વિદ્યાર્થીઓ, સેનાના 11 જવાનો સહીત નવા 80 કેસ, નોંધાયા
મિઝોરમ દેશનું એક એવું રાજ્ય હતું, જ્યાં કોરોના વાઈરસના સંક્રમણના કારણે હજુ સુધી કોઈનું મોત નહતું થયું, પરંતુ આજે જીવલેણ વાઈરસે એક વ્યક્તિનો ભોગ લીધો છે. રાજ્યના સ્વાસ્થ્ય અધિકારીઓએ આજે બુધવારે જણાવ્યું કે, મિઝોરમમાં કોરોના વાઈરસના કારણે પ્રથમ મોત (Covid Death) થયું છે.પ્રથમ મરણ નોંધાયા બાદ મિઝોરમમાં અત્યાર સુધી 2607 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યાં છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 80 નવા કેસ સામે આવ્યાં છે. જેમાં 27 સ્કૂલના વિદ્યાર્થીઓ, સેનાના 11 જવાનો અને મિઝોરમ આર્મડ પોલીસ (MAP)નો એક કર્મચારી પણ સામેલ છે.
સ્વાસ્થ્ય અધિકારીએ વધુ વિગતો આપતા જણાવ્યું કે, સૌથી વધુ 76 નવા પોઝિટિવ કેસો માત્ર આઈઝોલ જિલ્લામાંથી મળી આવ્યાં છે. જ્યાલે લૉન્ગતલાઈમાંથી બે અને ખાવ્જવ્લ અને સૈત્લાવમાંથી એક-એક નવો કેસ સામે આવ્યો છે. જ્યારે સંક્રમિત થયેલા અને સેનાના જવાનો અને MAP કર્મચારીઓ અન્ય રાજ્યોમાંથી પરત ફર્યા હતા.
સ્વાસ્થ્ય અધિકારીના જણાવ્યા અનુસાર, 62 વર્ષના વ્યક્તિએ આઈઝોલ નજીકની એક હોસ્પિટલમાં કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. હોસ્પિટલના મેડિકલ ઑફિસર ડૉ એચસી લાલડિાના કહ્યું કે, છેલ્લા 10 દિવસથી કોરોના સંક્રમિત દર્દીની સરકારી જોરામ મેડિકલ કૉલેજમાં સારવાર ચાલી રહી હતી. આઈઝોલના રહેવાશી દર્દી હ્રદય સબંધિત બીમારીથી પણ પીડિત હતા.
ઉલ્લેખનીય છે કે, મિઝોરમમાં 26 ઓક્ટોબરથી કોરોના સંક્રમણને ફેલાતુ રોકવા માટે 9 નવેમ્બર સુધી વિશેષ અભિયાન ચલાવાઈ રહ્યું છે. જ્યારે આઈઝોલમાં 3 નવેમ્બર સવારે સાડા ચાર વાગ્યા સુદી લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મિઝોરમમાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ 24 માર્ચે મળી આવ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધી 2233 લોકો કોરોના સંક્રમણથી મુક્ત થઈ ચૂક્યાં છે. જ્યારે હાલ 374 લોકો કોરોનાની સારવાર લઈ રહ્યાં છે. અહીં કોરોના દર્દીઓના સ્વસ્થ થવાનો દર એટલે કે રિકવરી રેટ 85.66 ટકા છે.