મુખ્ય સમાચાર
News of Wednesday, 28th October 2020

હવે ભારતમાં કોરોના જેહાદઃ એનેસ્થેસીયાના ઇન્જેકશનથી VIP લોકોની હત્યાનું ષડયંત્ર

ઇસ્લામિક સ્ટેટનો ખોફનાક પ્લાનઃ હત્યા-તોફાનો કરાવવા મથે છે

નવી દિલ્હી તા. ર૮ :.. નેશનલ ઇન્ટેલીજન્સ એજન્સી (એનઆઇએ) એ ઇસ્લામિક સ્ટેટ ખુરાસાન પ્રાંત (આઇએસકેપી) ના પાંચ આતંકવાદીઓ વિરૂધ્ધ રજૂ કરેલ ચાર્જશીટમાં કહયું છે કે આ પાંચે આતંકવાદીઓએ નાગરીકતા સંશોધન કાનૂન સામે થઇ રહેલા વિરોધ પ્રદર્શનોનો ઉપયોગ મુસ્લિમોને ભડકાવવા માટે કર્યો હતો.

એનઆઇએ સપ્ટેમ્બરમાં રજૂ કરેલ ચાર્જશીટમાં કહ્યું છે કે તપાસમાં એવું સાબિત થયું છે કે આરોપી સાદિયા અને એક ડોકટર ઇશફાક વચ્ચે કોરોના જેહાદ બાબતે વાતચીત થઇ હતી. બન્નેએ મહામારીનો ઉપયોગ દેશને બરબાદ કરવા માટે કરવા બાબતે ચર્ચા કરી હતી, જે તેમની દેશ-વિરોધી માનસિકતા દર્શાવે છે.

ચાર્જશીટમાં કાશ્મીરી દંપતિ જહાંજૈબ સામી અને હિના બશીર બેગ, હૈદ્રાબાદ નિવાસી અબ્દુલ્લા બાસિત, પુણે નિવાસી સાદિયા અનવર શેખ અને નવલ સિદીક ખત્રીને આરોપી બનાવાયા છે.

એજન્સીએ કહયું કે આરોપીઓ ભારત વિરૂધ્ધ જંગ છેડવો, અનધિકૃત હથિયાર ખરીદવા માટે ફંડ એકઠું કરવું, આઇઇડી તૈયાર કરવા માટે વિસ્ફોટક સામગ્રી ભેગી કરવી અને આતંકવાદી સંગઠનની વિચારધારાને પ્રોત્સાહન આપવા માટે બિન કાયદેસરની ગતિવિધીઓને અંજામ આપવાનું ષડયંત્ર રચી રહ્યા હતાં.

(3:04 pm IST)