બોમ્બે હાઈકોર્ટે અનિલ દેશમુખની જામીન અરજી પર ચુકાદો અનામત રાખ્યો :શક્ય તેટલી વહેલી તકે ચુકાદો જાહેર કરાશે : સુપ્રીમ કોર્ટમાં જતા પહેલા તાકીદની સુનાવણી માટે હાઇકોર્ટનો સંપર્ક ન કરવા બદલ નારાજગી વ્યક્ત કરી
મુંબઈ : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તપાસ કરવામાં આવી રહેલા મની લોન્ડરિંગ કેસમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી પર બોમ્બે હાઈકોર્ટે બુધવારે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે.
સિંગલ-જજ જસ્ટિસ એન.જે. જમાદારે સંકેત આપ્યો કે તેઓ શક્ય તેટલી વહેલી તકે આદેશ આપવાનો પ્રયાસ કરશે.
સુપ્રીમ કોર્ટે સોમવારે હાઇકોર્ટને આ અઠવાડિયે આ મામલો હાથ ધરવા અને તેનો ઝડપથી નિકાલ કરવાનો નિર્દેશ આપ્યા પછી સિંગલ-જજ સમક્ષ સુનાવણી થઈ.
દેશમુખના વકીલ વિક્રમ ચૌધરીએ કોર્ટને સ્પષ્ટતા કરી હતી કે સુપ્રીમ કોર્ટના આદેશનો હેતુ હાઈકોર્ટ પર દબાણ લાવવાનો નથી પરંતુ માત્ર તેમના અસીલ માટે વચગાળાની રાહત મેળવવાનો હતો.
જો કે, કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી કે તાત્કાલિક સુનાવણી માટે હાઇકોર્ટ સમક્ષ આ બાબતનો ઉલ્લેખ કરવાને બદલે સુપ્રીમ કોર્ટનું શરણ લીધું હતું.
ચૌધરીએ દેશમુખના વકીલે ભારપૂર્વક જણાવ્યું હતું કે ફરિયાદ કોર્ટ સામે નથી, પરંતુ લાંબી તારીખો માંગવા અને મામલાને મુલતવી રાખવા બદલ તપાસ એજન્સી સામે છે.
જસ્ટિસ જમાદારે જો કે આ મુદ્દો પડતો મૂક્યો અને આદેશો માટેની દલીલો બંધ કરી દીધી હતી તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.