મુખ્ય સમાચાર
News of Tuesday, 28th September 2021

દેશભરમાં આપદા મિત્ર બનાવાશેઃ કોમન એલર્ટ પ્રોટોકોલ અમલમાં લવાશે : અમિતભાઈ

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની સ્થાપનાના ૧૭ વર્ષની ઉજવણીના ભાગરૂપે સંબોધન કરતા ગૃહપ્રધાન : કુદરતી આપત્તિ સામે લોકોને સુરક્ષિત રાખવા આપદા સામે લડવા તૈયાર હોય તેવા યુવાનોને જોડાશે

નવી દિલ્હી, તા.૨૮: દેશની જનતામાં વિશ્વાસ વ્યકત કરવાનુ કામ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કર્યુ છે. ક્યાય કોઈ પણ વ્યકિત કુદરતી આપત્તિમાં ફસાયો હોય, પણ જો તેઓ એનડીએમએને જોઈ લે તો તેને પૂરો વિશ્વાસ છે કે હવે તે બચી જશે.

કુદરતી આપત્તિના સમયે, અસરગ્રસ્ત લોકોને સમયસર બચાવ અને રાહત કામગીરી મળી રહે તે માટે કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં આપદા મિત્ર યોજના શરુ કરી રહી છે. આપદા મિત્ર યોજનાની સાથેસાથે કુદરતી આપત્તિની આગોતરી જાણકારી મળી રહે તે માટે કોમન એલર્ટ પ્રોટોકલ પણ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામા આવશે.

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની સ્થાપનાના ૧૭ વર્ષની ઉજવણીના ભાગરૂપે સંબોધન કરતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહે કહ્યુ કે, એનડીએમએ, સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને એસડીઆરએફ દ્વારા દેશના ઈતિહાસને બદલવાનુ કામ કર્યુ છે. ૧૩૦ કરોડની જનતાના દેશમાં, દરેક રાજ્યામાં કોઈને કોઈ પ્રકારે કુદરતી આપત્તિ આવતી રહી છે. આપદા સામે જાગૃત કરવામાં આવી રહ્યાં છે. જો આ ના કરવામાં આવે તો અનેક મોટી ખુવારી થઈ શકે. પણ ૧૭ વર્ષમાં અનેક પરિવર્તન આવ્યા છે.

આજે બે નવી યોજના શરૂ થઈ રહી છે. આપદા મિત્ર અને કોમન એલર્ટ પ્રોટોકોલ. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા અમલમાં લાવનાર આપદા મિત્ર દ્વારા અપદા આવવાની સાથે જ તરત જ રિસ્પોન્સ આપી શકાય. એક વાર આપદા આવે તો ઘટના સ્થળે પહોચવા માટે સમય લાગે. જો કે આ સ્થિતિ નિવારવા માટે વધુ ચાર બટાલિયન શરૂ કરવામાં આવનાર છે. જો ત્વરીત જ રિસ્પોન્સ કરવો હોય તો એ જનતા કરી શકે. સ્થાનિકો જ કરી શકે તે માટે આપદા મિત્ર યોજના અમલમાં લાવવામાં આવનાર છે.

આપદા સામે લડવા તૈયાર હોય તેવા યુવાનોને તૈયાર કરાશે. આનો અમલ ૨૫ રાજ્યમાં ૩૦ પૂરગ્રસ્ત જિલ્લામાં પ્રાયોગિક ધોરણે તૈયાર કરાયો હતો. જેમાં સફળતા મળતા હવે આ યોજના આખા દેશમાં અલમમાં લવાશે. ૩૫૦ જિલ્લમાં અમલમાં લવાનાર આ યોજના અતંર્ગત જોડાનાર આપદા મિત્રનો વીમો પણ ઉતારવામાં આવશે.

હવે વિજળી ક્યા પડશે તે પડવાના પહેલા જાણી શકાય છે. આ અંગે ચોક્કસ માહિતી સમયસર ના પહોચાડાતા વિજળી પડવાથી આજે પણ લોકોના મૃત્યુ નિપજે છે. આપદા માટે એક અલગ વિભગ રચાયો. પહેલા કૃષિ વિભાગ દ્વારા જ આ વિભાગની કામગીરી કરાતી હતી. દેશમાં બે એવી કુદરતી આપત્તિ આવી, જેમાં ૧૯૯૯માં ઓરિસ્સામાં સુપર સાયકલોન આવ્યુ જેમાં અંદાજે ૧૦,૦૦૦ લોકો માર્યા ગયા. ૨૦૦૧માં કચ્છના ભૂજમાં ભૂકંપ આવ્યો, જેમાં ૧૪ હજાર લોકોના મૃત્યુ થયા.આ બન્ને ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો કે સરકારી વ્યવસ્થા તંત્ર અને તંત્રને પણ હચમચાવી નાખ્યુ. આ બન્ને ઘટના બાદ, કુદરતી આપત્તિના સમયે સરકારમાં તરત જ રિસ્પોન્સ મળે તેવી વિચારણા થઈ. કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયી અને ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદી મુખ્યપ્રધાન હતા. એ સમયે એક ટાસ્કફોર્સની રચના કરાઈ. મૂર્તિમંત સ્વરૂપ આપવા ૨૦૦૫માં એનડીએમએની રચના કરવામા આવી જેના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે. અને રાજ્યસ્તરે રચાયેલા એસડીએમએના અધ્યક્ષ મુખ્યમંત્રી હોય છે.

(3:31 pm IST)