ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ પર સુપ્રીમનું કડક વલણ
વસુલીમાં ડૂબેલા પોલીસ ઓફિસરોને તો જેલમાં ધકેલી દેવા જોઇએઃ સુપ્રિમ કોર્ટ
નવી દિલ્હી, તા.૨૮: છત્તિસગઢના સસ્પેન્ડેડ આઈપીએસ અધિકારી ગુરજિંદર પાલ સિંહની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે પોલીસ અધિકારીઓ મુદ્દે આકરી ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ' જે પોલીસ અધિકારી અનુકૂળ સરકાર સાથે તાલમેલ રાખી ગેરકાયદે રીતે પૈસાની કમાણી કરે છે, તેમણે સરકાર બદલાતા જ પોતે કરેલા કાર્યોનું પરિણામ ભોગવવું પડી શકે છે. ચીફ જસ્ટીસે કહ્યું છે કે આ શ્રેણીમાં આવતા પોલીસવાળાને બચાવવા ન જોઇએ અને તેમને જેલમાં ધકેલી દેવા જોઇએ.
આ શ્રેણી હેઠળ આવતા પોલીસકર્મીઓને સંરક્ષણ આપવું જોઈએ નહીં અને તેમને જેલ ભેગા કરવા જોઈએ. આ સાથે કોર્ટે કહ્યું કે, જો સરકારના નિકટના વ્યકિત હોવા અને સરકાર બદલાય તો પરિણામ ભોગવવું પડે.
કોર્ટે ગુરજિંદરના વકીલને જણાવ્યું કે, અરજદાર અધિકારી તમામ મામલે સંરક્ષણ મેળવી શકે નહીં. તેમને ધરપકડ મુદ્દે વચગાળાની રાહત આપી શકાય નહીં. ગુરજિંદર વિરુદ્ઘ છત્તિસગઢ સરકારે આવક કરતા વધુ સંપત્તિ અને રાજદ્રોહનો કેસ દાખલ કર્યો છે.