ભાજપના મુખમાં રામ અને હૃદયમાં નાથૂરામ
કોંગ્રેસ પ્રવકતા પ્રિયંકા ચતુર્વેદીનું નિવેદન
નવી દિલ્હી, તા.૨૮: કોંગ્રેસે ચોખવટ કરી છે કે અયોધ્યા રામમંદિર-બાબરી મસ્જીદ વિવાદ બાબતે સુપ્રિમ કોર્ટના ચુકાદાનો તે સ્વીકાર કરશે.
કોંગ્રેસ પ્રવકતા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે પક્ષનો હંમેશા એવો મત છે કે સુપ્રિમ કોર્ટમાં રામ મંદિર -બાબરી મસ્જીદ બાબતે જે કામગીરી ચાલી રહી છે, અમે તેનું સન્માન કરીએ છીએ અને તેના નિર્ણય સ્વીકારશું, સાથે જ અમે એવી આશા રાખીએ છીએ કે જે પણ ચુકાદો આવશે તેને સરકાર અમલી બનાવશે.
ત્રીસ વર્ષથી સતત રામમંદિર મુદાને લઇને ભાજપા પોતાનું રાજકારણ ખેલી રહ્યું છે. ભાજપા રામમંદિરના નામે દેશની જનતાને ભડકાવવાનું અને તેને ભ્રમિત કરવાનું ષડયંત્ર કરે છે અને તે લોકો બે નકાબ પણ થયા છે. ભાજપાના મુખમાં રામ અને દિલમાં નથુરામ છે.
છેલ્લા વીસ વર્ષોમાંથી ૧૩ વર્ષ ભાજપાની સરકાર કેન્દ્રમાં રહી ચૂકી છે પણ દરેક ચૂંટણી તેમની કોશીષ એ જ હોય છે કેવી રીતે ભગવાન રામના નામે વધુ ને વધુ મતો મેળવી શકાય. જયારે સત્તામાં આવે છે ત્યારે કેકૈયીની જેમ રામને વનવાસમાં મોકલી આપે છે. જયારે ચુંટણીને છ મહીનાની વાર હોય ત્યારે મત મેળવવા માટે તેમને ભગવાન રામ યાદ આવે છે. સત્તા મેળવવા માટે રામનું નામ લેવું એ તેમનો અસલી મહોરો અને ચરિત્ર છે.