30મીએ ઉદ્ધવ સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે પ્રહાર પાર્ટીના બે ધારાસભ્યો : શિંદે-ફડણવીસ બનાવી શકે સરકાર
પ્રહાર પાર્ટીના બે ધારાસભ્ય ય શિંદે જૂથ સાથે ગુવાહટીમાં છે : રાજભવન પાસેથી સમય માગવાની તૈયારી
મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય ગતિવિધિઓ તેજ થઈ રહી છે. ત્યારે હવે એક નવો રાજકીય વળાંક આવી રહ્યો છે. સૂત્રો પાસેથી મળેલી વિગતો અનુસાર જોઈએ તો, 30 જૂનના રોજ પ્રહાર પાર્ટીના બે ધારાસભ્ય મહાવિકાસ અઘાડી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે. આગામી બે દિવસમાં મહારાષ્ટ્રની રાજનીતિ માટે અતિ મહત્વના સાબિત થશે. સૂ6ો પાસેથી મળતી માહિતી અનુસાર પ્રહાર પાર્ટી આ બાબતે રાજભવન પાસેથી સમય માગવાની તૈયારી કરી લીધી છે. હાલામં બંને ધારાસભ્ય શિંદે જૂથ સાથે ગુવાહટીમાં છે.
તેની સાથે જ સૂત્રોએ કહ્યું કે, એકનાથ શિંદેના નેતૃત્વમાં ભાજપ અને શિવસેનાના બળવાખોર ધારાસભ્યો મહારાષ્ટ્રમાં આગામી સરકાર બનાવી શકે છે. સૂત્રોએ જણાવ્યું છે કે, નેતાઓએ આગામી સરકારના ગઠનની ફોર્મ્યુલા પર ચર્ચા કરી લીધી છે. સૂત્રોએ જણાવ્યું છે કે, કેબિનેટમાં ભાજપના 28 મંત્રીઓ હશે, જેમાં 26 મંત્રીઓ શપથ લેશે. તો વળી કેબિનેટમાં શિંદે જૂથમાંથી 12 મંત્રીઓ હશે, 6 ધારાસભ્યો પર એક મંત્રી પદ મળશે. આ જ બાબતને લઈને દેવેન્દ્ર ફડણવીસ પણ દિલ્હી પહોંચી ગયા છે.
મહારાષ્ટ્રના સંકટ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફરી એકવાર બળવાખોરોને મનાવવાનો પ્રયાસ કર્યો છે. તેમના તરફથી એક ભાવનાત્મક સંદેશ જારી કરવામાં આવ્યો છે. એ સંદેશામાં ઉદ્ધવ કહી રહ્યા છે કે સંવાદ દ્વારા ઉકેલ શોધી શકાય છે. ધારાસભ્યોએ માત્ર તેમની સાથે વાત કરવાની જરૂર છે.