સીનીયર સીટીઝન માટે હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરનું પ્રશંસનીય પગલું : વૃદ્ધાવસ્થા પેન્શન માટે હવે વૃદ્ધોએ સરકારી કચેરીના ચક્કર કાપવા નહીં પડે : જેમની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ છે અને દંપત્તિની વાર્ષિક આવક 2 લાખથી વધુ ન હોય તેમને ' વૃદ્ધાવસ્થા સન્માન ભથ્થું યોજના ' હેઠળ પેન્શન મેળવવાની કાર્યવાહી ઘેરબેઠા કરી આપવામાં આવશે
હરિયાણા : હરિયાણાના વરિષ્ઠ નાગરિકો માટે સારા સમાચાર છે. હવે તેમને વૃદ્ધાવસ્થા પેન્શન મેળવવા માટે સરકારી કચેરીઓમાં ભટકવું નહીં પડે. સરકારે વૃદ્ધાવસ્થા સન્માન ભથ્થા યોજનાની પ્રક્રિયામાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.
જે મુજબ વરિષ્ઠ નાગરિકોને મોટી રાહત આપતા, સોમવારે હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં, નક્કી કરાયેલી નવી પ્રક્રિયા હેઠળ, હવે વૃદ્ધાવસ્થા સન્માન ભથ્થા માટે નાગરિક સેવા કેન્દ્ર (CSE), અંત્યોદય કેન્દ્ર અથવા અન્ય કોઈ સરકારી કચેરીની મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં.
વૃદ્ધાવસ્થા સન્માન ભથ્થું યોજના હેઠળ પાત્ર વ્યક્તિએ તેની પાત્રતા નક્કી કરવા માટે કુટુંબ ઓળખ નંબરની જરૂર પડશે. હરિયાણા ફેમિલી આઇડેન્ટિફિકેશન ઓથોરિટી વૃદ્ધાવસ્થા સન્માન ભથ્થા માટે પાત્ર વ્યક્તિઓના ડેટા ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ઉપલબ્ધ કરાવશે.
આવી વ્યક્તિઓને યાદીમાં સામેલ કરવામાં આવશે, જેમની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ છે અને જીવનસાથીની એકસાથે આવક વાર્ષિક 2 લાખથી વધુ ન હોય. ઓછામાં ઓછા 15 વર્ષથી હરિયાણાનો રહેવાસી હોવો જોઈએ. આવકની સ્થિતિ, રહેઠાણનો પુરાવો અને બેંક ખાતાની વિગતોની માહિતી પછી કોઈ વધુ ચકાસણીની જરૂર રહેશે નહીં.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.