મુખ્ય સમાચાર
News of Tuesday, 28th June 2022

નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ મુકનાર યુવાનની ઉદયપુરમાં ઘાતકી હત્યા : દુકાનમાં ઘૂસી તલવારના અનેક ઘા માર્યા : ગાળું કાપી નાખ્યું

ધાનમંડી સહિત ઘંટાગર અને સૂરજપોલ પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે દોડી :પોલીસના વરિષ્ઠ રિષ્ઠ અધિકારી અને FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચી: હાથીપોલ ચોકમાં કેટલાંક યુવકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ : ભાજપ યુવા મોરચાના એક કાર્યકર્તા ઘાયલ

ઉદયપુરમાં નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનાર એક વ્યક્તિની ક્રૂર હત્યા કરાઈ છે, દરજીનું કામ કરનાર આ વ્યક્તિની ધોળાદિવસે તેમની જ દુકાનમાં ઘૂસીને કેટલાંક લોકોએ તલવારના અનેક ઘા માર્યા છે, જે બાદ તેનું ગળું પણ કાપી નાંખ્યું છે. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં હત્યારાઓ તેના પર ધારદાર હથિયારથી હુમલો કરી રહ્યાં છે.

કન્હૈયાલાલ તેલી (40)નો ધાનમંડી સ્થિત ભૂતમહેલની પાસે સુપ્રીમ ટેલર્સ નામની દુકાન છે. મંગળવારે બપોરે લગભગ અઢી વાગ્યા બાઈક પર બે બદમાશો આવ્યા હતા. માપ દેવાના બહાને દુકાનમાં એન્ટ્રી લીધી. કન્હૈયાલાલ કંઈ સમજે તે પહેલા બદમાશોએ હુમલો કરી દીધો. એક પછી એક તેના પર અડધો ડઝનથી વધુ ઘા મારવામાં આવ્યા. ઘટના સ્થળે જ તેમને જીવ ગુમાવ્યો. જે બાદ બંને બદમાશ ફરાર થઈ ગયા.

આ હત્યાની જાણકારી મળતા જ ધાનમંડી સહિત ઘંટાગર અને સૂરજપોલ પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી. પોલીસના વરિષ્ઠ અધિકારી અને FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચી. ટીમે પુરાવાઓ એકઠાં કર્યા. ઘટના પછી વિપક્ષના નેતા ગુલાબચંદ કટારિયાએ પણ SPને ફોન કરીને ઘટનાની માહિતી મેળવી. તેમને નિષ્પક્ષ તપાસનું જણાવી આરોપીઓને ઝડપથી પકડવાની વાત કરી.

કન્હૈયાલાલ ગોર્વધન વિલાસ વિસ્તારમાં રહેતા હતા. 10 દિવસ પહેલા તેમને ભાજપમાંથી હટાવવામાં આવેલા નૂપુર શર્માના પક્ષમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જે બાદથી કેટલાંક લોકો તેમને મારી નાખવાની ધમકી આપી રહ્યાં હતા. કન્હૈયાલાલ સતત ધમકીઓથી પરેશાન હતા. 6 દિવસથી તેમને પોતાની ટેલર્સની દુકાન પણ ખોલી ન હતી. તેમને પોલીસ સમક્ષ ધમકીઓ આપનાર યુવકો અંગે નામજોગ ફરિયાદ પણ કરી હતી. પોલીસે તેમને થોડાં દિવસ સાચવીને રહેવાનું કહી તેમની ફરિયાદને ગંભીરતાથી લીધી ન હતી.

કલેક્ટર તારાચંદ મીણા, SP મનોજ ચૌધરી ઘટનાસ્થળે પહોંચી ગયા. હાથીપોલ સહિત અડધો ડઝન વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરી દેવાઈ છે. લોકો ઘટનાસ્થળે પહોંચીને પ્રદર્શન કરી રહ્યાં છે. મૃતદેહ હજુ ઘટનાસ્થળ પર જ પડ્યો છે. પરિવારના લોકો હોબાળો કરી રહ્યાં છે. ખેરવાડાથી પોલીસની વધારાની ટીમ બોલાવવામાં આવી છે. શહેરના 5 વિસ્તારમાં બજાર બંધ કરી દેવાઈ છે.

SP ઉદયપુર મનોજ ચૌધરીએ કહ્યું- જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઘણી ક્રૂરતાથી હત્યા કરવામાં આવી છે. જે પણ કોઈ ગુનેગાર હશે તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. હાલ પરિવાર સાથે કોઈ વાત થઈ નથી. નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ પછી મળી રહેલી ધમકીઓની ફરિયાદના સવાલ પર SPએ કહ્યું કે મૃતક સાથે જોડાયેલા તમામ રેકોર્ડની તપાસ કરવામાં આવી રહી છે. કેટલાંક આરોપીઓની ઓળખ થઈ છે. ટીમ મોકલી દેવાઈ છે.

હાથીપોલ ચોકમાં કેટલાંક યુવકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે. ભાજપ યુવા મોરચાના એક કાર્યકર્તા ઘાયલ થઈ ગયો છે. શાંતિ વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસે સંવેદનશીલ જગ્યાથી લઈને દરેક સ્થળને છાવણીમાં ફેરવી દીધી છે.

(7:21 pm IST)