ચારધામ યાત્રા પર ઉત્તરાખંડ હાઈકોર્ટે રોક લગાવી દીધી
કેબિનેટે સીમિત સંખ્યામાં યાત્રીઓને મંજૂરી આપી હતી : લીવ સ્ટ્રિમિંગનો આદેશ, રાજ્ય સરકારે યાત્રા શરૂ કરવા માટે મોટા પાયે વેક્સિનેશનની કામગીરી પણ હાથ ધરી
દહેરાદૂન, તા. ૨૮ : ઉત્તરાખંડ હાઈકોર્ટે સીમિત સંખ્યા સાથે તીર્થ યાત્રીઓને ચાર ધામની યાત્રાને મુંજરી આપતા કેબિનેટ નિર્ણય પર રોક લગાવી દીધી છે. કોર્ટે ચાર ધામ તીર્થ સ્થળોનું લાઈવ સ્ટ્રીમિંગ કરવાનો આદેશ આપ્યો છે. આ મામલે વધુ સુનાવણી આગામી ૭ જુલાઈએ થશે. બે દિવસ અગાઉ પણ હાઈકોર્ટે ઉત્તરાખંડ સરકારના નિર્ણયને લઈને ફિટકાર લગાવી હતી.
રાજ્ય સરકારે ૧ જુલાઈથી ત્રણ જીલ્લા માટે ચાર ધામ યાત્રા શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. રાજ્ય કેબિનેટે ચમોલી જીલ્લાના લોકો માટે બદ્રીનાથ, રૂદ્રપ્રયાગના નિવાસીઓ માટે કેદારનાથ ધામ અને ઉત્તરકાશીના લોકો માટે ગંગોત્રી, યમનૌત્રીના દર્શન માટે મંજુરી આપી હતી. જેને લઈને મોટા પાયે વેક્સીનેશન અભિયાન પણ ચાલી રહ્યું છે.
વેક્સીનેશનની સ્પીડને વધારવા માટે ચમોલી ૫૦૦૦, ઉત્તરકાશી ૧૦૦૦૦, રૂદ્રપ્રયાગ ૫૦૦૦, ટિહરી ૫૦૦૦ અને પૌડી જનપદને ૫૦૦૦ ડોઝ ચાર ધામ સંબંધિત વ્યક્તિઓના વેક્સીનેશન માટે ઉપલબ્ધ કરાવવાં આવી હતી.
કોરોનાની ત્રીજી લહેરની આશંકાને લઈને હાઈકોર્ટે રાજ્ય સરકારની ૧ જુલાઈથી ચાર ધામ યાત્રાની મંજુરીને લઈને ફિટકાર લગાવી હતી. ઉત્તરાખંડ હાઈકોર્ટે આ નિર્યની સમીક્ષા કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે અમરનાથ યાત્રાનો હવાલો આપતા કહ્યું હતું કે, યાત્રાને સ્થગિત કે રદ્દ કરવાની જરૂર છે.
૨૦ જૂને રાજ્ય સરકારે બે તબક્કામાં ચાર ધામ યાત્રા શરૂ કરવાની જાહેરાત કરી હતી. ૧ જુલાઈથી ઉત્તરાખંડના ચમોલી, રૂદ્રપ્રયાગ અને ઉત્તરકાશીના લોકોને યાત્રા માટે મંજુરી આપી હતી. રાજ્યના બાકીના ભાગના લોકો માટે ૧૧ જુલાઈથી ચાર મંદિરની યાત્રા કરવાને મંજુરી આપવાની યોજના હતા.