મુખ્ય સમાચાર
News of Monday, 28th June 2021

અસ્થિર મગજનો મ.પ્ર.નો ગુમ શખ્સ પાક.થી પાછો ફર્યો

ક્રોસ-બોર્ડર ઓર્ગન ટ્રાફિકિંગની આશંકા : મધ્યપ્રદેશથી કુલ સાત અસ્થિર મગજના લોકો પાકિસ્તાન કઈ રીતે પહોંચ્યા એવા સવાલથી પોલીસ ભારે પરેશાન

ભોપાલ, તા. ૨૮ : ૨૦૧૭માં મધ્યપ્રદેશ સ્થિત પોતાના ગામમાંથી ભેદી સંજોગોમાં ગુમ થયેલો વ્યક્તિ પાકિસ્તાનની જેલમાં રહ્યા બાદ ભારત પરત ફર્યો છે. આ ઘટના એમપીના દામોહ જિલ્લાની છે. ગુમ થનારો વ્યક્તિ પાતિ શિશપુર ગામનો વતની છે, જેનું નામ બારીલાલ ઉર્ફે દારીલાલ હોવાનું બહાર આવ્યું છે. બારીલાલના ગુમ થવાની ફરિયાદમાં જણાવાયું હતું કે તે અસ્થિર મગજનો છે. જોકે, તે પાકિસ્તાન કઈ રીતે પહોંચી ગયો તે પ્રશ્ન પોલીસ સહિત સુરક્ષાએજન્સીઓને પણ હેરાન કરી રહ્યો છે.

દામોહ જિલ્લાના એસપી ડી.આર. તેનીવારે જણાવ્યું હતું કે પાકિસ્તાને અટ્ટારી બોર્ડર પર તેની કસ્ટડી ભારતને સોંપી હતી. પાકિસ્તાનની જેલમાં ૨૦ મહિના વિતાવી પરત ફરેલા બારીલાલને એટલું જ યાદ છે કે તેને એક કંપનીએ મજૂર તરીકે નોકરીએ રાખ્યો હતો અને તેને એક ટ્રેનમાં બેસાડ્યો હતો. જેનાથી તે પાકિસ્તાન પહોંચ્યો હતો.

મીડિયા સાથે વાત કરતા બારીલાલે જણાવ્યું હતું કે પાકિસ્તાનના પોલીસ અધિકારીઓએ તેને માર્યો હતો, પરંતુ જમવાનું સારું આપતા હતા. તેણે એમ પણ કહ્યું હતું કે તેને ભારત અને પાકિસ્તાનમાં કોઈ ફરક ના લાગ્યો. બીજી તરફ, આ પ્રકારના ઉપરાછાપરી બનેલા બનાવો સામે આવતા ક્રોસ-બોર્ડર ઓર્ગન ટ્રાફિકિંગ માટે બારીલાલ જેવા લોકોનો ઉપયોગ કરાય છે કે કેમ તે શંકા પણ ઉદ્ભવી રહી છે.

બારીલાલ મધ્યપ્રદેશનો છઠ્ઠો એવો વ્યક્તિ છે કે જે ગુમ થયા બાદ પાકિસ્તાનની જેલમાં હોવાનું બહાર આવ્યું હોય. એટલું જ નહીં, તેના પહેલા જે લોકો આ રીતે ગુમ થયા હતા તે પણ બારીલાલની માફક જ અસ્થિર મગજના અને ગરીબ પરિવારના હતા. આવા લોકોને જ ઓર્ગન ટ્રાફિકિંગ માટે ટાર્ગેટ કરાતા હોવાની શક્યતા પોલીસ વ્યક્ત કરી રહી છે. બારીલાલના ગુમ થયાની ફરિયાદ ૨૦૧૭માં દાખલ થઈ હતી જેમાં તે માનસિક રીતે અસ્થિર હોવાનું જણાવાયું હતું. બારીલાલ પહેલા જીતેન્દ્ર અર્જુનવાર, રાજુ લક્ષમણ, બુધારામ મારકો, અનિલ સાકેત અને સુનિલ ઉઈકે નામના મધ્ય પ્રદેશના શખ્સો ગુમ થાય બાદ પાકિસ્તાનની જેલમાં હોવાનું બહાર આવ્યું હતું. જેમાંથી રાજુ અને અનિલ તો હજુય પાકિસ્તાનની જેલમાં જ બંધ છે. રાજુની માફક બારીલાલનો પરિવાર પણ તેના ગુમ થયા બાદ તેને શોધવા આકાશ-પાતાળ એક કરી રહ્યો હતો. જોકે, ૨૦૧૯માં જ્યારે સ્થાનિક પોલીસે બારીલાલ પાકિસ્તાની જેલમાં હોવાનું જણાવ્યું ત્યારે તેના પરિવારજનોને મોટો આંચકો લાગ્યો હતો. બારીલાલ પાકિસ્તાની જેલમાં હોવાની ખબર પડતાં જ ઈન્ટેલિજન્સ એજન્સીઓ પણ મૂંઝવણમાં મૂકાઈ હતી. ૧૪ નવેમ્બર ૨૦૧૯માં પાકિસ્તાને બારીલાલ પોતાની કસ્ટડીમાં હોવાનું રેકોર્ડ પર બતાવ્યું તેના બે વર્ષ પહેલાથી તે પાકિસ્તાની જેલમાં બંધ હતો.બારીલાલ છેલ્લે ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૭માં પોતાના ગામમાં જોવા મળ્યો હતો. તેના ગાયબ થયા બાદ પરિવારજનોએ તેની શોધખોળ શરુ કરી હતી. જોકે, તેનો કોઈ પત્તો ના લાગતા આખરે ૪ માર્ચ ૨૦૧૭ના રોજ તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવાઈ હતી. તે ગુમ થયો ત્યારે તેની ઉંમર ૨૮ વર્ષની હતી.પાકિસ્તાન દ્વારા બારીલાલ અને તેલંગાણાના પ્રશાંત વૈનદામની ધરપકડની સત્તાવાર જાહેરાત ૧૮ નવેમ્બર ૨૦૧૯ના રોજ કરાઈ હતી. આ બંને સિંધ પ્રાંતના બહવાલપુરના છિઓલિસ્તાન વિસ્તારમાંથી ઝડપાયા હતા. તેમના પર ગેરકાયદે રીતે પાકિસ્તાનમાં એન્ટ્રી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

(7:53 pm IST)