ભારતને ફરીથી કોલસાના મહાસંકટનો સામનો કરવો પડી શકે છે : ભયંકર પાવર કટ થઇ શકે છે
સપ્ટેમ્બર કવાર્ટરમાં માંગ પ્રમાણે કોલસાના સપ્લાયમાં ૪૨.૫ મિલિયન ટનનો ઘટાડો થઇ શકે છે
નવી દિલ્હી તા. ૨૮ : ભારતમાં ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટર (૨૦૨૨-૨૩) દરમિયાન એટલે કે સપ્ટેમ્બરમાં પૂરા થતા ક્વાર્ટર દરમિયાન કોલસાની ભારે અછતનો સામનો કરવો પડી શકે છે, કારણ કે તે સમયે પાવરની માંગ વધુ રહેવાની ધારણા છે. રોયટર્સ અનુસાર, ઉર્જા મંત્રાલયની એક આંતરિક સમિતિએ પોતાના રિપોર્ટમાં આ વાત કહી છે, જેને રોયટર્સ દ્વારા જોવામાં આવી છે. તેનાથી દેશમાં વ્યાપક વીજ કાપનું જોખમ વધી ગયું છે.
એવી આશંકા છે કે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં માંગ પ્રમાણે કોલસાના પુરવઠામાં ૪૨.૫ મિલિયન ટનનો ઘટાડો થઈ શકે છે. આ અછત અગાઉની કટોકટી કરતાં ૧૫ ટકા વધુ હોઈ શકે છે, જયારે વીજળીની ઊંચી માંગને કારણે અછત સર્જાઈ હતી.
આ ભયંકર આગાહીઓ એવા સમયે ભારતમાં બળતણની અછતને પ્રતિબિંબિત કરી રહી છે જયારે દેશમાં છેલ્લા ૩૮ વર્ષમાં વાર્ષિક વીજળીની માંગમાં સૌથી ઝડપી વૃદ્ધિ જોવા મળી રહી છે અને રશિયા-યુક્રેન યુદ્ધે કોલસાના પુરવઠામાં ઘટાડો કર્યો છે અને વૈશ્વિક કોલસાના ભાવ રેકોર્ડ સ્તરે છે.
આ સંજોગોમાં ભારતે તાજેતરના દિવસોમાં પાવર પ્લાન્ટ્સ પર કોલસાની આયાત વધારવા માટે દબાણ વધાર્યું છે અને ચેતવણી આપી છે કે જો પાવર પ્લાન્ટ્સ આયાત કરીને તેમની કોલસાની ઇન્વેન્ટરીઝ નહીં બનાવે તો તે સ્થાનિક રીતે ખનન કરાયેલા કોલસાના પુરવઠામાં ઘટાડો કરશે.
મંત્રાલયના પાવર પ્રેઝન્ટેશનમાંથી એક સ્લાઇડમાં, તે બતાવવામાં આવ્યું હતું કે મોટાભાગના રાજયોએ કોલસાની આયાત માટે હજુ સુધી કોન્ટ્રાક્ટ આપ્યા નથી. આવી સ્થિતિમાં જો કોલસાની આયાત નહીં કરવામાં આવે તો જુલાઈ સુધીમાં અનેક પાવર પ્લાન્ટ્સ પાસે કોલસાની કટોકટી સર્જાઈ શકે છે. વીજ મંત્રાલયની રજૂઆત મુજબ એપ્રિલના અંત સુધી માત્ર એક રાજયે કોલસાની આયાત માટે ટેન્ડર આપ્યા છે.
મંત્રાલયના બે વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પ્રેઝન્ટેશન શુક્રવારે વર્ચ્યુઅલ મીટિંગમાં આપવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય કોલસા અને ઉર્જા મંત્રી હાજર હતા. તેમના સિવાય કેન્દ્ર અને રાજયોના ઉચ્ચ ઉર્જા અધિકારીઓ પણ બેઠકમાં હાજર હતા.