મધ્યપ્રદેશ રાજભવન પરિસર સુધી કોરોના પહોંચ્યો : છ લોકોના રિપોર્ટ પોઝિટિવ
રાજભવનનો લોઅર સ્ટાફ અને તેમના પરિવારજનો પણ સંક્રમિત
ભોપાલ : મધ્યપ્રદેશના રાજભવન સુધી કોરોના વાઈરસનું સંક્રમણ પહોંચી ગયું છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ અને ભોપાલ જિલ્લા તંત્રના સુત્રો પ્રમાણે રાજભવનમાં કાર્યરત ઓછામાં ઓછા 6 લોકોના કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમાં રાજભવનને લોઅર સ્ટાફ અને તેમના પરિવારજનો પણ સામેલ છે. આ દરેક લોકો પરિસરના સ્ટાફ ક્વાટર્સમાં રહે છે. બુધવારે તેમના કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા તો 6 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
મધ્યપ્રદેશના રાજ્યપાલના નિવાસસ્થાન રાજભવનમાં કોરોનાના કેસ સામે આવ્યા બાદ તંત્ર દ્વારા તેને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરી દેવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર તરૂણ પિથોડોએ બુધવારને આ અંગે આદેશ જાહેર કર્યાં છે. રાજભવનના સુત્રોએ જણાવ્યું કે, રાજભવનના પરિસરમાં કોવિડ-19નો પહેલો દર્દી સામે આવતા રાજ્યપાલ લાલજી ટંડનનું સેમ્પલ પણ લેવામાં આવ્યું છે.
આદેશમાં કહેવામાં આવ્યું કે, પ્રતિબંધિત ક્ષેત્રમાં રહેતા દરેક લોકોને પોતાના ઘરોમાં જ રહેવું પડશે તથા અહીં અવર-જવર બંધ રહેશે. આ વચ્ચે રાજભવનના પ્રવક્તા મીડિયાને જણાવ્યું કે, રાજભવનના એક કર્મચારીનો પુત્ર કેટલાંક દિવસ પહેલાં કોરોના સંક્રમિત થયો હતો. તેમણે જણાવ્યું કે, આ કર્મચારી પોતાના પરિવાર સાથે રાજભવન પરિસરમાં કર્મચારીઓ માટે બનેલા આવાસોમાં રહે છે. તે બાદ આ કર્મચારીના પરિવારના સભ્યો પણ કોરોના સંક્રમિત થયા.