કેન્સરથી બચવા તમાકુ અને નશાનું સેવન ન કરો, રોજ ૯થી ૧૦ કલાક ઉંઘ લોઃ મનિષા કોઇરાલાઅે જીવલેણ બિમારીથી બહાર આવીને લોકોને ચેતવ્યા
નવી દિલ્હીઃ એમ્સમાં સૌપ્રથમ વાર પર્યાવરણીય, વ્યાવસાયિક બાબતો અંગે બે દિવસીય સમ્મલેન યોજાયું હતું. ઇન્ડિયન સોસાયટી ઑફ ક્લિનિકલ આન્કોલોજી તરફથી આયોજિત આ સમ્મેલનના પહેલા દિવસે ફિલ્મ અભિનેત્રી મનીષા કોઇરાલા પણ હાજર રહી હતી. તે કેન્સર જેવી જીવલેણ બીમારીમાંથી બહાર આવી ચૂકી છે. સમ્મેલનને સંબોધિત કરતી વખતે તેણે પોતાના અનુભવ જણાવ્યા.
મનીષા કહ્યું કે, ‘કેન્સર વિશે લોકોમાં ખોટી ધારણાઓ છે. લોકો વિચારે છે કે, કેન્સર એટલે અસાધ્ય બીમારી, પણ તેની સારવાર થઈ શકે છે. મુશ્કેલી એ છે કે, આ બીમારીમાંથી બહાર આવીને ફરી જીવન શરૂ કરનારા ઘણા ઓછો લોકો જાહેરમાં બોલવા તૈયાર થાય છે.’
મનીષાએ કહ્યું કે, ‘મને થયેલી મુશ્કેલીઓ વિશે લોકો જાણે છે, પરંતુ મારું માનવું છે કે, તેનાથી કંઈક સારું પણ થયું, જેને કોઈ જાણતું નથી. પહેલાં હું દરેક નાનકડી પરેશાનીથી તણાવમાં આવી જતી હતી, પણ હવે લાગે છે કે, હું કોઈ પણ સમસ્યા સામે લડી શકું છું. આ બીમારી બાદ મેં અનુભવ્યું કે, મારી જીવનશૈલી બરાબર નહોતી.’
આ પાંચ બાબતો જરૂરી :
– તમાકુ અને નશાનું સેવન ન કરો.
– ખાનપાનમાં 90 ટકા શાકાહારી અને પૌષ્ટિક (ઓર્ગેનિક) વસ્તુઓ ખાવી. 10 ટકામાં માછલી અને ઇંડાંનો સમાવેશ કરી શકાય છે.
– રોજ નવથી 10 કલાકની ઊંઘ લો.
– નિયમિત તપાસ કરાવવી જોઈએ. ડોક્ટર્સના નિર્દેશોનું પાલન કરવું જરૂરી છે.
– શરીરમાં કોઈ તકલીફ હોય તો તુરંત ડોક્ટરને બતાવવું જોઈએ.
મનીષાએ કહ્યું કે, બીમારી થાય તો ડોક્ટર્સના દરેક નિર્દેશનું પાલન જરૂરી છે. ડોક્ટરના નિર્દેશ વિના કંઈ પણ ન કરવું જોઈએ. હું પણ એવું જ કરતી હતી. કંઈ પણ કરતા પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લેતી હતી. આ સિવાય પરિવારનો સપોર્ટ પણ ખૂબ જરૂરી હોય છે.