મુખ્ય સમાચાર
News of Monday, 28th May 2018

ભાજપ વર્ષ ૨૦૧૯માં ચૂંટણી નહીં જીતી શકે : નાયડુનો દાવો

મોદી વચનો પાળવામાં નિષ્ફળ : ચંદ્રાબાબુ : ટીડીપીની વાર્ષિક બેઠક શરૂ : વિવિધ પાસાઓ પર ચર્ચા વિચારણા : આંધ્રને ખાસ દરજ્જાને લઇને આક્રમક વલણ

વિજયવાડા,તા. ૨૭ : આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એનચંદ્રાબાબુ નાયડુએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૯માં ભાજપ ચોક્કસપણે સત્તા ઉપર આવશે નહીં. વડાપ્રધાન વચનો પાળવામાં નિષ્ફળ ગયા છે. ટીડીપીના વાર્ષિક કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતા તેલુગુદેશમ પાર્ટીના વડાએ કહ્યું હતું કે, ટીડીપીએ ભૂતકાળમાં હમેશા સરકાર રચવામાં ભૂમિકા ભજવી છે. દેશમાં રાજનીતિમાં તેમની ભૂમિકા મહત્વની રહી છે. ૨૦૧૯માં ભાજપને રોકવા માટે ટીડીપી તેમના જેવી જ વિચારધારા ધરાવતી પાર્ટીઓ સાથે ગઠબંધન કરશે. કોંગ્રેસ પણ આ સ્થિતિમાં છે પરંતુ ભાજપ ચોક્કસપણે ૨૦૧૯ની ચૂંટણીમાં આવશે નહીં. નાયડુએ કહ્યું હતું કે, ભાજપ ૨૦૧૯માં ચૂંટાઈને આવે તેવું દેખાતું નથી. મોદી આક્રમક પ્રચાર કરી રહ્યા છે પરંતુ તેમના વચનો અધુરા રહ્યા છે. ૧૯૯૬માં યુનાઇટેડ ફ્રન્ટની સરકાર રચવામાં ટીડીપીની ચાવીરુપ ભૂમિકા હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, એનડીએ સરકારમાંથી ટીડીપીએ છેડો ફાડી લીધો છે. કારણ કે, કેન્દ્ર સરકારે આંધ્રપ્રદેશને ખાસ દરજ્જો આપવાનું વચન પાળ્યું નથી. એપી રિ ઓર્ગેનાઇઝેશન એક્ટને અમલી કરવામાં તંત્ર નિષ્ફળ ગયું છે. નાયડુએ કહ્યું હતું કે, આંધ્રપ્રદેશના લોકો સાથે ભાજપે વિશ્વાસઘાત કર્યો છે. વાયએસઆરસીપી સાથે સંઘર્ષની સ્થિતિમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સમસ્યા સર્જવાના પ્રયાસ કર્યા છે. ટીડીપી પોતાના કાર્યક્રમમાં યોગ્ય વિચારણા વગર કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા આર્થિક નિર્ણયો સામે ઠરાવ પસાર કરનાર છે. નોટબંધી અને જીએસટીની નિષ્ફળતાને લઇને પણ હોબાળો કરવાની તૈયારી કરવામાં આવી છે. રાજ્યસભામાં આપવામાં આવેલી ખાતરી નહીં પાળવાનો પણ આક્ષેપ કેન્દ્ર સરકાર ઉપર કરીને ઠરાવ પસાર કરવાની તૈયારી કરવામાં આવી છે. આ કોન્કક્લેવમાં કેન્દ્ર સરકારના વિશ્વાસઘાત અને કાવતરાની રાજનીતિને લઇને ચર્ચા થઇ છે. આંધ્રપ્રદેશ માટે ખાસ દરજ્જાની માંગણી કરીને કેન્દ્ર પર દબાણ વધારવામાં આવશે. આંધ્રપ્રદેશનું વિભાજન ૨૦૧૪માં કરવામાં આવ્યું હતું તે વખતે વડાપ્રધાન તરીકે મનમોહનસિંહ હતા. સ્પેશિયલ કેટેગરીનો દરજ્જો આપવાની માંગ આગામી દિવસોમાં વધુ તીવ્ર રીતે રજૂ કરવાની તૈયારી નાયડુ દ્વારા કરવામાં આવી છે. આંધ્રપ્રદેશને ખાસ દરજ્જો ન મળતા થોડાક સમય પહેલા જ ટીડીપીએ એનડીએ સાથે છેડો ફાડી લીધો હતો અને કેન્દ્ર સરકારમાંથી પોતાના પ્રધાનોને પણ પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. ભાજપ અને ટીડીપી વચ્ચે વર્ષોથી સારા સંબંધો રહ્યા હોવા છતાં આ વખતે નાયડુ અલગ મંચ પર દેખાઈ રહ્યા છે.

(12:00 am IST)