મુખ્ય સમાચાર
News of Wednesday, 28th April 2021

વેદાંતાના પ્લાન્ટમાં ઓક્સિજન ઉત્પાદન કરવા સુપ્રીમની મંજૂરી

વેદાંત મફતમાં ઓક્સિજન પુરો પાડશે : વેદાંત આ પ્લાન્ટમાં તબીબી ઓક્સિજનનું ઉત્પાદન કરશે સંકટને જોતા ૩ વર્ષથી બંધ આ પ્લાન્ટ પર કોર્ટનો નિર્દેશ

નવી દિલ્હી, તા. ૨૭ : સુપ્રીમ કોર્ટેએ વેદાંતાનાં સ્ટરલાઇટ પ્લાન્ટમાં ઓક્સિજન ઉત્પાદન કરવાની મંજુરી આપી દીધી છે, કોરોના સંકટને જોતા સુપ્રિમ કોર્ટે ઉત્પાદન શરૂ  કરવાનો હુકમ આપ્યો છે, તે સાથે જ સુપ્રિમ કોર્ટે નિષ્ણાતોની કમિટીની રચના કરી છે, જે એ નક્કી કરશે તેમાં કેટલા લોકોની જરૂર છે, વેદાંત આ પ્લાન્ટમાં તબીબી ઓક્સિજનનું ઉત્પાદન કરશે અને તે મફતમાં ઓક્સિજન પુરો પાડશે. હકીકતમાં, તમિળનાડુમાં વેદાંત સ્ટરલાઇટ પ્લાન્ટ ખોલવા માટે એક અરજી કરવામાં આવી હતી, જે ત્રણ વર્ષથી બંધ હતો.

વેદાંતા વતી વરિષ્ઠ એડવોકેટ હરીશ સાલ્વેએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું  કે વેદાંતા સ્ટારલાઇટ પ્લાન્ટમાં માત્ર ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવા માંગે છે. જેના પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ રાષ્ટ્રીય આપત્તિ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે રાજકીય તકરાર ન હોવી જોઈએ. એમ કહીને સુપ્રીમ કોર્ટે વેદાંતાને તુતીકોરિન કોપર પ્લાન્ટમાં માત્ર ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. જસ્ટીસ ડી વાય ચંદ્રચુડ, જસ્ટિસ એલ નાગેશ્વર રાવ અને જસ્ટિસ રવિન્દ્ર ભટની ખંડપીઠે આ કેસની સુનાવણી કરી. જસ્ટિસ ચંદ્રચુડે સિનિયર એડવોકેટ સાલ્વેને પૂછ્યું કે તમે પ્લાન્ટ ક્યારથી શરૂ કરી શકો છો. હરીશ સાલ્વેએ જણાવ્યું કે ૧૦ દિવસમાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવશે. ત્યાં જ સોલિસીટર જનરલ તુષાર મહેતાએ પણ કોર્ટ સમક્ષ કેન્દ્ર સરકારનો પક્ષ રજૂ કર્યો.

અત્રે ઉલ્લેખનિય છે કે દેશમાં કોરોના સંકટ સતત ભયાનક બન્યું છે. વધતા દર્દીઓના કારણે આરોગ્ય સુવિધાઓ કથળી રહી છે. હોસ્પિટલોમાં ઓક્સિજન અને બેડની તીવ્ર અછત છે. અત્રે ઉલ્લેખનિય છે કે તુતીકોરિન સ્થિત સ્ટરલાઇટ પ્લાન્ટને રાજ્ય સરકારે પણ ખોલવાની મંજુરી આપી  દીધી છે, આ પ્લાન્ટને તમિલનાડુ સરકારે મે ૨૦૧૮માં તેના વિરૂધ્ધ થયેલી હિંસા બાદ બંધ કરી દીધો હતો, તે હિંસામાં ૧૩ લોકોનાં મોત થયા હતાં.

(12:00 am IST)