મુખ્ય સમાચાર
News of Saturday, 28th March 2020

જો સરકાર હા પાડે તો મજૂરોને વિમાનમાં પોતાના વતન પહોંચાડીશું: સ્‍પાઇસ જેટના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર અજયસિંહ

નવી દિલ્હી: સ્પાઈસજેટે કોરોના વાયરસના કમ્યુનિટી સ્પ્રેડને કોરવા માટે કરાયેલા લોકડાઉન દરમિયાન દિલ્હી અને મુંબઈમાં કામ કરતા પ્રવાસીઓને ખાસ કરીને બિહાર સાથે સંબંધ ધરાવતા મજૂરોને પટણા પહોંચાડવામાં મદદ કરવાની રજુઆત કરી છે. કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અજય સિંહે શુક્રવારે કહ્યું કે જો સરકાર હા પાડે તો આ કામ માટે તે પોતાના વિમાન અને ક્રુ મેમ્બર્સની સેવાઓ આપી શકે છે.

ઈન્ડિગો અને ગોએરની પણ રજુઆત

સાર્વજનિક પ્રતિબંધના કારણે દેશમાં ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય પેસેન્જર ઉડાણ પર 14 એપ્રિલ સુધી રોક છે. ઈન્ડિગો અને ગોએરે પણ સરકાર સામે કોરોના વાયરસને ફેલાતો અટાકવવામાં કોઈ પણ પ્રકારની મદદ માટે આવી જ રજુઆત કરેલી છે.

માનવીય મિશન માટે તૈયારસિંહે કહ્યું કે અમે કોઈ પણ પ્રકારના માનવીય મિશન માટે સરકારની જરૂરિયાત મુજબ પોતાના વિમાનો અને ચાલક દળ સાથે ઉડાણ ભરી શકીએ છે. અમે અમારા માલવાહક વિમાનોથી સરકાર માટે પ્રતિદિન ભોજન, દવા અને ચિકિત્સકીય ઉપકરણો લઈને ઉડાણ ભરી રહ્યાં છીએ.

દિલ્હી, મુંબઈથી ઉડાણો

તેમણે કહ્યું કે અમે પ્રવાસી મજૂરોની મદદ કરવા માંગીએ છીએ. ખાસ કરીને જે બિહારથી છે. આથી અમે દિલ્હી અને મુંબઈથી પટણા માટે ઉડાણ ભરી શકીએ છીએ. કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે સરકારે દેશભરમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. દેશમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 700થી વધુ પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જ્યારે 17 લોકોના જીવ ગયા છે.

પગપાળા બિહાર પાછા ફરી રહ્યાં છે મજૂરો

લોકડાઉનના કારણે આજકાલ તમામ કારખાના અને કંપનીઓ બંધ હોવાના કારણે બિહારી મજૂરો સમક્ષ વિકટ સ્થિતિ પેદા થઈ ગઈ છે. તેમની પાસે ન તો રહેવાની જગ્યા છે કે ન તો ખાવા માટે પૈસા. બિહાર  પાછા ફરવા માટે તેમની પાસે કોઈ સાધન પણ નથી. આથી આ લોકો પગપાળા જ પોતાના માદરે વતન પાછા ફરી રહ્યાં છે.

(4:33 pm IST)