કેન્દ્ર સરકાર વૃદ્ઘો, દિવ્યાંગો અને વિધવાઓને આપશે રાહત, ૩ મહિનાનું પેન્શન આપશે એડવાન્સમાં
નવી દિલ્હી, તા.૨૮: કેન્દ્ર સરકારે લોકડાઉનના પડકારનો ઉકેલ લાવવા માટે ત્રણ કરોડ વિધવાઓ, વૃદ્ઘો અને દિવ્યાંગોને એપ્રિલનાં પહેલાં સપ્તાહમાં ત્રણ મહિનાનું પેન્શન એડવાન્સમાં આપવાનો નિર્ણય કર્યો છે. અધિકારીઓએ શુક્રવારે જણાવ્યુ હતુકે, રાષ્ટ્રીય સામાજીક સહાયતા કાર્યક્રમ હેઠળ તેમને અગ્રિમ પેન્શન સીધા તેમના ખાતામાં આપવામાં આવશે.
૬૦-૭૯ વર્ષના વૃદ્ઘોને હાલમાં દર મહિને ૨૦૦ રૂપિયા મળે છે, જયારે ૮૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્ઘોને દર મહિને ૫૦૦ રૂપિયા મળે છે. તો સાથે જ, ૪૦ થી ૭૯ વર્ષની વિધવાઓને દર મહિને ૩૦૦ રૂપિયા આપવામાં આવે છે, જયારે ૮૦ વર્ષથી વધુની વિધવાઓને દર મહિને ૫૦૦ રૂપિયા મળે છે. ૭૯ વર્ષ સુધીના દિવ્યાંગોને દર મહિને ૩૦૦ રૂપિયા, જયારે ૮૦ વર્ષથી વધુના દિવ્યાંગોને દર મહિને ૫૦૦ રૂપિયા આપવામાં આવે છે.
મનરેગા કામદારોના વેતન ૧૦ એપ્રિલ સુધીમાં ચૂકવાશે
કેન્દ્ર સરકારે ૧૦ એપ્રિલ સુધીમાં મનરેગા કામદારોના બાકી રહેલા સંપૂર્ણ વેતન ચૂકવવાનો નિર્ણય લીધો છે. આ વેતન ૧૧,૪૯૯ કરોડ રૂપિયા છે. તે જ સમયે, ૨૦૧૯ માં, આઠ રાજયોમાં પૂર, ભૂસ્ખલન, ચક્રવાત, દુષ્કાળના નિયંત્રણ માટે રૂ.૫,૭૫૧ કરોડની વધારાની સહાયને મંજૂરી આપવામાં આવી છે.