વિદેશમાં ફેલાયેલ નવા કોરોના સ્ટ્રેન ભારતમાં દર્દીના શરીરની ઇમ્યુન સિસ્ટમ્સને ઉલ્લુ બનાવી કોરોનામાંથી સજા થયેલ વ્યક્તિને કોરોનાનો ફરી ચેપ લગાડી શકે છે: નવું સાયન્ટિફિક રિસર્ચ: ભારતમાં આવા ૨ કેસ બહાર આવ્યા
નવી દિલ્હી. દેશના કેટલાક રાજ્યોમાં ફરી એકવાર કોરોનાવાયરસના કેસો વધી રહ્યા છે. દરમિયાન, વાયરસના નવા વેરિએન્ટ (કોરોનાવાયરસ ન્યૂ વેરિએન્ટ - એન 440 કે) વિશે મોટા સમાચાર આવ્યા છે. કુર્નૂલ મેડિકલ કોલેજના સંશોધનકારોએ શોધી કાઢયું છે કે આ નવા પ્રકારના કોરોના વાયરસથી આ રોગમાંથી સ્વસ્થ થતા દર્દીઓમાં ફરીથી ચેપ લાગી શકે છે. દેશમાં ૨૦૦ જેટલા દર્દીઓ કોરોના વાયરસના નવા પ્રકારનો ભોગ બન્યા છે.
એક અહેવાલ મુજબ, આ પ્રકારનો વાયરસ રોગપ્રતિકારક શક્તિમાંથી(એન્ટી બોડીમાંથી) છટકી શકે છે અને શરીરની ઇમ્યુન સિસ્ટમ્સને ઉલ્લુ બનાવી, કોવિડ -19 રોગથી સ્વસ્થ થયેલા દર્દીને ફરીથી ચેપ લગાવી શકે છે. આ ખૂબ જ ગંભીર બાબત સામે આવી છે.
સંશોધનકારોએ કુર્નૂલના એક કેસની તપાસ કરી. તેઓ માને છે કે દેશમાં આ વેરિએન્ટને કારણે ફરીથી ચેપ લાગવાનો આ બીજો કેસ છે. ભારતમાં અત્યાર સુધીમાં ઘણા દેશોના કોરોનાના પ્રકારો મળી આવ્યા છે.
કુર્નૂલ મેડિકલ કોલેજ, કુર્નૂલની જેનોમિક્સ અને ઇન્ટિગ્રેટીવ બાયોલોજી અને ગાઝિયાબાદની એકેડેમી સાયન્ટિફિક એન્ડ ઇનોવેટિવ રિસર્ચના સંશોધકોએ શોધી કાઢ્યું છે કે "એન 440 કે" પ્રકારના કોરોના વાયરસનો આંધ્રપ્રદેશમાં 33 ટકા વ્યાપ છે. મહારાષ્ટ્ર અને કેરળમાં "સાર્સ-સીવી -2", "એન 440 કે" અને "ઇ 484 કે" ના બે પ્રકારનાં કેસો મળી આવ્યા છે. જો કે, કેન્દ્ર સરકારનું કહેવું છે કે, હજી સુધી એવું માનવાનું કોઈ કારણ મળ્યું નથી કે આ બંને પ્રકારોના કારણે રાજ્યોના કેટલાક જિલ્લાઓમાં કેસોમાં વધારો થયો છે.
ભારતના અન્ય દેશોમાં જોવા મળતા કોરોના વાયરસના વિવિધ પ્રકારોએ પણ ચિંતા સર્જી છે. નીતી આયોગના સભ્ય વી.કે. પૉલે એક પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં 187 લોકોને બ્રિટનમાં મળેલા સ્ટ્રેનથી ચેપ લાગ્યો છે. તે જ સમયે, 6 દર્દીઓમાં દક્ષિણ આફ્રિકાના સ્ટ્રેન જોવા મળ્યાં છે. તેમાંથી, એક દર્દીને બ્રાઝિલિયન ટાઇપનો કોરોનાનો ચેપ લાગ્યો છે.
તેમણે કહ્યું, સાર્સ-સીવી -2, એન 440 કે, અને ઇ 484 કે, ના બંને પ્રકારો મહારાષ્ટ્રમાં મળી આવ્યા છે. આ પ્રકારો કેરળ અને તેલંગાણામાં પણ મળી આવ્યા છે. ઉપરાંત, બ્રિટન, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલ, આ ત્રણેય દેશોમાં જોવા મળતા કોરોનાના એક-એક વેરિયન્ટ જોવા મળેલ છે. તેમણે કહ્યું કે, આમ છતાં વૈજ્ઞાનિક માહિતીના આધારે, એવું માનવાનું કોઈ કારણ નથી કે આ નવા કોરોના વેરીએન્ટ મહારાષ્ટ્ર અને કેરળના જિલ્લાઓમાં કોરોના કેસ વધારવા માટે જવાબદાર છે'.