હવે ચીનના વલણ ઉપર નજર
પાકિસ્તાનને તમાચો : મસુદ વિરૂધ્ધ ભારતની પડખે રહ્યા અમેરિકા - બ્રિટન અને ફ્રાંસ
નવી દિલ્હી તા. ૨૮ : પુલવામા આતંકી હુમલાને અંજામ આપનારા જૈશ એ મોહમ્મદ ચીફ આતંકી મૌલાના મસૂદ અઝહર પર પ્રતિબંધ મૂકવા માટે સંયુકત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. બુધવારે અમેરિકા, ફ્રાન્સ, અને બ્રિટને મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવવા માટે તેને પ્રતિબંધિત સૂચિમાં નાખવા માટેનો પ્રસ્તાવ સુરક્ષા પરિષદમાં રજુ કર્યો.
ફ્રાન્સ, અમેરિકા અને બ્રિટને બુધવારે પ્રસ્તાવ રજુ કરતા સંયુકત રાષ્ટ્રની સુરક્ષા પરિષદને કહ્યું કે જૈશ એ મોહમ્મદના ચીફ આતંકી મૌલાના મસૂદ અઝહર પર પ્રતિબંધ મૂકવામાં આવે. તેના વૈશ્વિક પ્રવાસો પર પ્રતિબંધ મૂકવામાં આવે. આ સાથે જ તેની તમામ સંપત્તિ પણ ફ્રીઝ કરવામાં આવે.
અત્રે જણાવવાનું કે ૧૪ ફેબ્રુઆરીના રોજ પુલવામા આતંકી હુમલાની જવાબદારી આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે લીધી છે. મૌલાના મસૂદ અઝહર આ આતંકી સંગઠનનો ચીફ છે. આ અગાઉ એવા અહેવાલો હતાં કે ફ્રાન્સ સંયુકત રાષ્ટ્ર તરફથી એવા અહેવાલો હતાં કે ફ્રાન્સ સંયુકત રાષ્ટ્ર તરફથી પ્રતિબંધિત કરાયેલા જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવવાના પ્રસ્તાવ પર કામ કરી રહ્યું છે. વીટો પાવરથી લેસ આ ત્રણેય દેશોએ મળીને આ પ્રસ્તાવ રજુ કર્યો છે. આ પ્રસ્તાવ રજુ થયા બાદ સંયુકત રાષ્ટ્રમાં છેલ્લા ૧૦ વર્ષમાં ચોથી વાર આ રીતે પ્રયત્ન કરાયો અને મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવાની માંગણી કરવામાં આવી છે.
જો કે સંયુકત રાષ્ટ્રમાં આ પ્રસ્તાવ પસાર થશે કે નહીં તે પાકિસ્તાનના ઓલ વેધર ફ્રેન્ડ ગણાતા ચીનના વલણ પર નિર્ભર કરશે. ચીન વીટો પાવરથી લેસ સુરક્ષા પરિષદનો કાયમી સભ્ય છે અને અનેકવાર મસૂદ વિરૂદ્ઘના પ્રસ્તાવને વીટો કરી ચૂકયું છે. પુલવામા આતંકી હુમલા બાદ પણ તેની નાપાક હરકત ઉજાગર થઈ હતી. એક અઠવાડિયા સુધી સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના નિવેદનને લટકાવી રાખવા છતાં તેની જો કે તે નિવેદનને અટકાવી શકયું તો નહીં જ. આ નિવેદનમાં પુલવામા આતંકી હુમલાની ટીકા કરાઈ હતી અને જૈશનું નામ પણ લેવાયું હતું.
નોંધનીય છે કે ૧૫ દેશોના સભ્યોવાળી આ સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અધ્યક્ષતા દર મહિને એક દેશથી બીજા દેશના હાથમાં જાય છે અને એક માર્ચના રોજ તેની અધ્યક્ષતા ઈકવેટોરિયલ ગુયાનાથી ફ્રાન્સ પાસે જશે. સૂત્રોએ જણાવ્યું કે વીટો પાવર પ્રાપ્ત શકિતઓ સાથે પરિષદના સ્થાયી સભ્ય ફ્રાન્સ પણ આ પ્રસ્તાવ પર કામ કરી રહ્યું છે જે જલદી તૈયાર થઈ જશે.
૧૪મી ફેબ્રુઆરીના રોજ પુલવામાંમાં સીઆરપીએફના કાફલાની એક બસ પર જે રીતે આતંકી હુમલો કરાયો અને ૪૦ જવાનો શહીદ થયા ત્યારબાદથી ભારત ખુબ આક્રોશમાં છે અને દેશવાસીઓ પણ આ નાપાક હરકત બદલ પાકિસ્તાનને હાડકા ખોખરા કરવાની માગણી કરી રહ્યાં છે. આ હુમલાની જવાબદારી મસૂદ અઝહરના સંગઠન જૈશ એ મોહમ્મદે લીધી હતી.