અમરિંદર સિંહ બનશે મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ
મહારાષ્ટ્રના વર્તમાન રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ પોતાનું પદ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી
મુંબઈ, તા.૨૮: પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ હશે. પંજાબની કોંગ્રેસ સરકારમાં મુખ્યમંત્રી રહેલા કેપ્ટન અમરિંદર સિંહ પંજાબ વિધાનસભા ચૂંટણીના થોડા સમય પહેલા કોંગ્રેસથી અલગ થઈ ગયા હતા. તે પછી તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. તો, હવે કેપ્ટન અમરિંદર સિંહને મહારાષ્ટ્રના રાજ્યપાલ બનાવવાની જાહેરાત તેમના માટે એક મોટી ગિફ્ટ મનાઈ રહી છે. હકીકતમાં, મહારાષ્ટ્રના વર્તમાન રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ પોતાનું પદ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તે પછી અમરિંદર સિંહને રાજ્યપાલ બનાવવાનો નિર્ણય લેવાયો છે.
કોશ્યારી છત્રપતિ શિવાજીને લઈને પોતાની ટિપ્પણીને લઈને સતત વિપક્ષના નિશાના પર રહ્યા. તેના પગલે તેમણે પદ પરથી હટવાની તૈયારી કરી હતી. ભગત સિંહ કોશ્યારીએ સોમવારે કહ્યું હતું કે, વડાપ્રધાનના તાજેતરના મુંબઈ પ્રવાસ દરમિયાન બધી રાજકીય જવાબદારીઓમાંથી મુક્ત થવા અને બાકી જીવન વાંચવા-લખવા અને અન્ય કામોમાં વિતાવવાની મારી ઈચ્છા અંગે જણાવ્યું હતું.
રાજભવન તરફથી જારી એક સ્ટેટમેન્ટ મુજબ, રાજ્યપાલે કહ્યું હતું કે, માનનીય વડાપ્રધાન તરફથી હંમેશા પ્રેમ અને સ્નેહ મળ્યો અને તેઓ આશા રાખે છે કે, આ સંબંધમાં પણ તેમને એ જ સ્નેહ મળશે. વડાપ્રધાન ૧૯ જાન્યુઆરીએ ઘણી પરિયોજનાઆો શિલાન્યાસ અને ઉદઘાટન માટે મુંબઈમાં હતા. કોશ્યારીએ કહ્યું કે, રાજ્ય સેવક કે રાજ્યપાલના રૂપમાં સંતો, સમાજ સુધારકો અને બહાદુર સેનાનીઓની ધરતી મહારાષ્ટ્ર જેવા મહાન રાજ્યમાં સેવા કરવી મારા માટે પૂર્ણ સન્માન અને સૌભાગ્યની વાત છે.