ખેડૂત નેતા રાકેશ ટિકૈતની વધશે મુશ્કેલી : મહિલા પોલીસ ઈન્સ્પેક્ટરે લગાવ્યા સનસનાટીભર્યા આરોપો
ટિકેતે કહ્યું કે, તો આખરે પોલીસે લાલ કિલ્લા પર ગોળી કેમ ના ચલાવી?
નવી દિલ્હી : દિલ્હી પોલીસની ઈન્સ્ટેક્ટર પુષ્પલતાએ સનસનાટીપૂર્ણ આરોપ લગાવ્યો છે પુષ્પલતાએ કહ્યું છે કે, ભારતીય કિસાન યૂનિયન (BKU) ના પ્રવક્તા રાકેશ ટિકૈતે ગાઝીપુર અંડરપાસ પર ખેડૂતોની ભીડને ઉશ્કેરી હતી. બીજી બાજુ ટિકેતના એક નિવેદનના કારણે દિલ્હી પોલીસની પણ આશંકા વધારે પ્રબળ બની રહી છે. ટિકેતે કહ્યું કે, તો આખરે પોલીસે લાલ કિલ્લા પર ગોળી કેમ ના ચલાવી? દિલ્હી પોલીસે ત્રણ ખેડૂત નેતાઓને નોટીસ ફટકારી 3 જ દિવસની અંદર જવાબ આપવા કહ્યું છે.
દિલ્હી પોલીસે મોડી રાતે 20 ખેડૂત નેતાઓ સામે નોટિસ જાહેર કરીને તેમને પુછવામાં આવ્યું છે કે, તેમની સામે કાયદાકીય કાર્યવાહી કેમ ન થવી જોઈએ?તેનો 3 દિવસમાં જવાબ આપવામાં આવે. પોલીસે જે નોટિસ મોકલી છે તેમાં કહેવામાં આવ્યું છે કે, ગણતંત્ર દિવસે લાલકિલ્લામાં કરવામાં આવેલી તોડ-ફોડ એક દેશદ્રોહી હરકત છે. આ અગાઉ બુધવાર સવારથી જ એક્શનમાં છે. પહેલાં 37 ખેડૂત નેતાઓ પર રેલીની શરતો તોડવાનો આરોપ લગાવીને તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
ટિકેતને નોટિસ આપવા પોલીસકર્મી ગુરૂવારે બપોરે 12.30 વાગ્યે ગાઝીપુર બોર્ડરે પહોંચ્યા હતા પરંતુ ટિકેત નોટિસ લેવા સામે આવ્યા નહીં તો પોલીસે તેમના ટેન્ટ પર નોટિસ ચિપકાવી દીધી હતી. જગતારસિંહ બાજવાએ પણ મીટિંગમાં હોવાનું બહાનું આગળ ધરી નોટિસ સ્વિકારી નહોતી. જેથી પોલીસે તેમના ટેન્ટ પર પણ નોટિસ ચિપકાવી દીધી હતી
રાકેશું ટિકૈતનો ઈરાદાઓ પર ઉભા થઈ રહેલા સવાલો એટલા માટે પણ ગંભીર છે કારણ કે રાકેશ ટિકૈતે ગાઝીપુર બોર્ડરથી લાલ કિલ્લા તરફ જવા માટે ખેડૂતોને ના માત્ર પ્રેરિત કર્યા પરંતુ તેમનું નેતૃત્વ પણ કર્યું. ટિકૈતના નેતૃત્વમાં ટ્રેક્ટર સવાર ખેડૂતોની માર્ચ ગાઝીપુર બોર્ડથી દુલ્હી તરફ આગળ વધવા લાગી તો દિલ્હી પોલીસની બે મહિલા કર્મચારીઓએ તેને અટકાવી. તેઓ ટ્રેક્ટરની આગળ જઈને ઉભી રહી ગઈ હતી. જ્યારે ખેડૂતોએ બેરિકેટ્સ તોડીને બીજી બાજુથી આગળ વધવાનો પ્રયાસ કર્યો તો ઈન્સ્પેક્ટર પુષ્પલતા અને અન્ય એક પોલીસકર્મી સુમન કુશવાહા ટ્રેક્ટરના બોનેટ સાથે લટકી ગઈ હતી. મહત્વની વાત એ હતી આ આખી ઘટના રાકેશ ટિકેતની હાજરીમાં ઘટી હતી.
ઈન્સ્પેક્ટર પુષ્પલતા ગાઝીપુર અંડરપાસ પર તૈનાત હતી. તેમણે જણાવ્યું હતું કે, ટ્રેક્ટર પરેડ શરૂ થવાનો સમય બપોરે 12 વાગ્યાનો હતો પરંતુ ખેડૂતોએ સવાર 9:30 વાગ્યે જ આ રેલી શરૂ કરી દીધી હતી. ખેડૂતોની રેલીથી વિરૂદ્ધ દિશામાં અંડરપાસથી સામેની દિશાએ આનંદ વિહાર તરફ જઈ રહેલા લોકોમાંથી કેટલાક પાછા ફર્યા અને અંડરપાસમાં લગાવવામાં આવેલા બેરિકેટ્સ તોડવા લાગ્યા હતાં. પુષ્પલતાના જણાવ્યા પ્રમાણ્રે આ દરમિયાન રાકેશ ટિકેત બે થી ત્રણ વાર અમારી પાસે આવ્યા. ટિકેત અમારી સામે તો ખેડૂતોને ટ્રેક્ટર બંધ કરવાનું કહેતા હતાં પણ ઈશારા તો આગળ વધવાના જ કરી રહ્યાં હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડૂત આંદોલન દરમિયાન ગણતંત્ર દિવસે કેટલાક પ્રદર્શનકારીઓ દ્વારા કરવામાં આવેલા ભારે હિંસક તોફાનોને લઈને ખેડૂત નેતા રાકેશ ટિકેત વિરૂદ્ધ આંગળી ચિંધાઈ રહી છે. હવે એક મહિલા પોલીસ ઈન્સ્પેક્ટરના દાવાથી આ આશંકા વધારે પ્રબળ બની છે.